![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/12/akshay-and-arshad-varshi.jpg)
અક્ષય કુમારને હવે મારી સાથે કામ કરવામાં દોષની લાગણી થતી હશેઃ અરશદ વારસી
મુંબઈ,
બોલિવૂડના એકટર અરશદ વારસી પાસે ઘણા પ્રોજેક્ટ છે અને આ કમાલના પ્રોજેક્ટ ટૂંક સમયમાં જ તેના ફેન્સને જાેવા મળશે. તેની ફિલ્મ દુર્ગામતિ શુક્રવારે એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થનારી છે. તેની વેબ સિરીઝ અસૂરની પહેલી સિઝન જાેરદાર સફળ રહી હતી જેને ધ્યાનમાં રાખીને તે હવે અસૂરની બીજી સિઝન પર કામ કરી રહ્યો છે. ટૂંક સમયમાં આ પ્રોજેક્ટ શરૂ થશે. આ ઉપરાંત અરશદ વારસીએ અક્ષય કુમાર અને કૃતિ સેનનની ફિલ્મ બચ્ચન પાંડેના કામનો પણ પ્રારંભ કરી દીધો છે.
આ એક એક્શન કોમેડી ફિલ્મ છે અને અરશદ વારસી અને અક્ષય કુમાર પહેલી વાર સાથે કામ કરતા જાેવા મળશે. આ બંનેએ જાેલી એલએલબીમાં કામ કર્યું હતું. પહેલી ફિલ્મમાં અરશદ વારસી હતો તો તેની સિકવલ બની ત્યારે અક્ષય કુમારે એ જ રોલ કર્યો હતો. આ ઉપરાંત દુર્ગામતિ ફિલ્મમાં અરશદ વારસી સહ નિર્માતા છે. અરશદ વારસીએ તાજેતરમાં જ કહ્યું હતું કે અક્ષય કુમારને હવે મારી સાથે કામ કરવામાં દોષની લાગણી થતી હશે.
હું તેમને ઇમ્પ્રેસ કરવા કહી રહ્યો નથી પરંતુ હું અક્ષયકુમારનો મોટો ફેન છું અને મને નથી લાગતું કે બીજાે કોઈ એક્ટર અક્ષય કુમારની માફક આટલી આસાનીથી કોમેડી કરી શકતો હશે. અક્ષયકુમાર હકીકતમાં કમાલ કરી નાખે છે તેમ કહીને વારસીએ ઉમેર્યું હતું કે મને લાગે છે કે અમારા બંનેનું એક જ ફિલ્મમાં સાથે હોવું તે બાબત જ ઓડિયન્સ માટે આહલાદક બની રહેશે.