શ્રમિકો માટે હાજી અલીથી યુપી માટે દસ બસો મોકલવાની તૈયારીમાં અમિતાભ બચ્ચન

ફિલ્મી દુનિયા

મુંબઈ,
કોરોના વાયરસથી સૌથી વધારે પરેશાની પ્રવાસી મજૂરોને થઈ રહી છે. લોકડાઉનને કારણે તેઓ વતનથી દૂર છે અને જ્યાં રહે છે ત્યાં કામ પણ મળતું નથી. આવા લોકો માટે બોલિવૂડનો એક્ટર સોનૂ સૂદ ભગવાન બનીને આવ્યો છે તો આ જ હરોળમાં હવે બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન પણ આવી ગયા છે. બિગ બી હવે પ્રવાસી મજૂરોને તેમના વતન પહોંચાડવાની કામગીરી કરી રહ્યા છે. મુંબઈથી ટૂંક સમયમાં જ દસ બસો પ્રવાસી મજૂરોને લઈને ઉત્તર પ્રદેશ તરફ રવાના થશે.
સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમની ટીમ આ મજૂરોની મદદ કરી રહી છે. બિગ બી અગાઉ પણ રાહતકાર્ય કરતા રહેતા હતા પરંતુ હવે તેમણે પ્રવાસી મજૂરોને મદદ કરવા તરફ પ્રયાણ કર્યું છે. તેમના દ્વારા ફૂડ પેકેટ, ડ્રાય ફ્રૂટના પેકેટ, પાણીની બોટલ, જૂત્તા-ચંપલ વગેરે પણ પ્રવાસી મજૂરોને આપવામાં આવી રહ્યા છે. બિગ બીની ટીમ ગુરુવાર ૨૮મી મેએ હાજી અલીથી ઉત્તર પ્રદેશ માટે દસ બસો મોકલવાની યોજના બનાવી રહી છે.
માત્ર મજૂરો જ નહીં પરંતુ અમિતાભ બચ્ચન કોરોના વોરિયર્સને પણ મદદ કરી રહ્યા છે. તેમણે મુંબઈમાં અલગ અલગ સ્થાને ૨૦ હજાર પીપીઈ કિટ અને ફૂડ પેકેટ ડોનેટ કરાવ્યા હતા. તેઓ સરકારી પ્રોજેક્ટમાં પણ સહયોગ આપી રહ્યા છે. જેમાં લોકોને આ મહામારી સામે જાગૃત કરવામાં આવી રહ્યા છે. તેમની ટીમ અત્યાર સુધીમાં સંખ્યાબંધ માસ્ક અને પીપીઈ કિટનું વિતરણ કરી ચૂકી છે. આઠમી માર્ચથી મુંબઈના વિવિધ વિસ્તારોમાં દરરોજના ૪૫૦૦ ફૂડ પેકેટનું વિતરણ થાય છે. અમિતાભ બચ્ચને દસ હજાર પરિવારોને રાશન પૂરૂ પાડયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.