પ્રોડ્યૂસર અસિત મોદીએ કહ્યું, દિશા વાકાણી આવે તો સારી વાત અને નહીં આવે તો પણ શો તો ચાલતો જ રહેશે

ફિલ્મી દુનિયા

મુંબઈ:  કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને આજે એટલે કે 28 જુલાઈના રોજ 12 વર્ષ પૂરા થયા છે. આ વખતે કોવિડ 19ને કારણે ટીમે ભવ્ય ઉજવણી ના કરવાનો નિર્ણય લીધો છે.   શોને 12 વર્ષ પૂરા થયા છે. આ વાત મારી તથા મારી ટીમ માટે ખુશીની છે. આ દિવસને અમે ‘હસો તથા હસાવો’ દિવસ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. અમે કેક કાપીને પોતાની ખુશી વ્યક્ત કરીશું. જોકે, આ વખતે કોવિડ 19ને ધ્યાનમાં રાખીને સેલિબ્રેશન નાના પાયે કરવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને માત્ર ટીમની સાથે સેલિબ્રેશન કરીશું. જોકે, અમારો ઉત્સાહ પહેલા જેવો જ છે. હું ચાહકોનો આભાર માનું છું. અમારો હંમેશાં પ્રયાસ રહેશે કે આગામી એપિસોડમાં અમે દર્શકોને વધુ હસાવી શકીએ. સારો કૉન્સેપ્ટ, ઈનોવેટિવ વાર્તા તથા અલગ રીતે વાર્તા રજૂ કરવાની કળા આ શોની મુખ્ય વાત છે.

અંદાજે ચાર મહિના બાદ શૂટિંગ ફરી શરૂ થતા કલાકારો તથા ટીમને ઘણી જ રાહત મળી છે. જોકે, સાચું કહું તો આ રાહત ખાટીમીઠી છે. અમે પહેલાની જેમ શૂટિંગ કરી શકતા નથી. અમારા શોમાં એક-બે નહીં પણ 22 લીડ એક્ટર છે. અત્યાર સુધી અમે સ્ક્રીન પર વધુમાં વધુ એક્ટર્સને બતાવતા હતા પરંતુ હવે આમ કરી શકતા નથી. સેટ પર નાનામાં નાની વાતોનું ધ્યાન આપવામાં આવે છે. આ મુશ્કેલ પરિસ્થિતિમાં લોકોને હસાવવા સરળ નથી. આ સ્ટ્રેસના વાતાવરણમાં લોકોને હસાવવાની જવાબદારી અમારી પર છે અને આ મુશ્કેલ છે. જોકે, અમે પૂરો પ્રયાસ કરીએ છીએ કે ઑડિયન્સ ખુશ રહે. આ એક પડકાર છે અને અમે ઘણી જ મહેનત કરી રહ્યા છીએ.

મોટાભાગના શો 13 જુલાઈથી શરૂ થઈ ગયા હતા પરંતુ અમારો શો એક અઠવાડિયું મોડો શરૂ થયો હતો, કારણ કે અમારી ટીમ બહુ જ મોટી છે. શોના કેટલાંક કલાકારો લૉકડાઉન દરમિયાન મુંબઈ બહાર હતા અને કોઈના ઘરમાં વૃદ્ધ વ્યક્તિઓ પણ છે. આટલી મોટી ટીમ છે અને શો 12 વર્ષથી નોન-સ્ટોપ ચાલતો હતો અને અચાનક જ તેમાં બ્રેક વાગી ગઈ હતી. આ મુશ્કેલ સમયમાં તમામને ફરીથી એક સાથે લાવવા થોડા મુશ્કેલ હતા. અધૂરામાં પૂરું વરસાદની સીઝન શરૂ થઈ ગઈ. અમારા શોનું શૂટિંગ આઉટડોર વધુ હોય છે. વરસાદ આવે તો બધા કયાં જાય? આ નાની-નાની વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ જ કારણે અમારી ટીમે મોડું શૂટિંગ શરૂ કર્યું હતું.

ગાઈડલાઈન પ્રમાણે 65 કે તેનાથી વધુ ઉંમરની વ્યક્તિને સેટ પર કે સ્ટૂડિયોમાં બોલાવી શકતા નથી પરંતુ તેનો અર્થ એવો નથી કે તેઓ કામ કરી શકશે નહીં. અમારા શોમાં નટુકાકાનું પાત્ર ભજવતા ઘનશ્યામ નાયકની ઉંમરને ધ્યાનમાં લઈને અમે નિર્ણય કર્યો છે કે જો જરૂર પડી તો અમે દરેક પ્રકારની સાવચેતીને ધ્યાનમાં રાખીને અમે તેમના ઘરે જઈને શૂટિંગ કરીશું. તેમની તબિયતનું પૂરતું ધ્યાન રાખીશું. તેમને પણ કામ કરવું છે અને અમે તેમની મદદ કરવા માટે તૈયાર છીએ.

દયાબેનના પાત્રને લઈ હાલમાં કોઈ ચર્ચા થતી નથી. સાચું કહું તો આ પાત્ર વગર પણ શો અઢી વર્ષ સારો ચાલ્યો છે. દયાભાભી વગર પણ શોની લોકપ્રિયતામાં સહેજ પણ ફેર પડ્યો નથી. દર્શકો મને તથા મારી ટીમને સમજ્યા છે. દર્શક સમજે છે કે અમે દિશા વાકાણીને પરત લાવવા માટે શક્ય તેટલા પ્રયાસો કરી રહ્યા છીએ. જોકે, તે નહીં આવે તો શો બંધ થશે નહીં. દર્શકોએ દયાભાભી વગર પણ શોને પ્રેમ આપ્યો છે. સાચું કહું તો દિશા શોમાં આવે કે ના આવે હવે તે ચર્ચાનો વિષય જ નથી. તે પરત આવે છે તો સારી વાત છે અને નથી આવતી તો show must go on. અમે બીજી દયાભાભી લાવીને અમારું કામ ચાલુ રાખીશું. લૉકડાઉન પીરિયડમાં તેમની સાથે વાત થઈ હતી અને દરેકની પોત-પોતાની સમસ્યા હોય છે. કોઈની પર દબાણ લાવીને કામ કરાવી શકાય નહીં. જોઈએ હવે આગામી દિવસોમાં શું થાય છે.

બાવરીનું પાત્ર મોનિકા ભદોરિયા પ્લે કરતી હતી અને તે પોતાના અંગત કારણોસર શોમાંથી નીકળી ગઈ હતી. બાવરી શોમાં એક વધારાનું પાત્ર હતી અને તેના ના રહેવાથી અમારા કન્ટેન્ટમાં કોઈ ફેર પડતો નથી. આ શોને 12 વર્ષ થઈ ગયા અને કલાકારોની આવન-જાવન તો થતી રહે. કોઈ આટલા વર્ષો સુધી કામ કરે તો આમ થવું સામાન્ય છે. મને આશા છે કે ઑડિયન્સ ભવિષ્યમાં પણ આ વાતનો સ્વીકાર કરી લેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.