બનાસકાંઠાના ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજના હેઠળ દિવસે વીજળી મળતા આનંદો

બનાસકાંઠાના ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજના હેઠળ દિવસે વીજળી મળતા આનંદો

દિવસ દરમિયાન વીજ પુરવઠાથી ખેતી બની વધુ સુરક્ષિત, ખર્ચમાં ઘટાડો અને ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર વધારો

રાજ્ય સરકારની ખેડૂતલક્ષી મહત્ત્વાકાંક્ષી કિસાન સૂર્યોદય યોજના બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ યોજના હેઠળ ખેડૂતોને દિવસે વીજળી ઉપલબ્ધ થતા ખેતી કાર્યમાં મોટો પરિવર્તન આવ્યો છે. અગાઉ ખેડૂતોને રાત્રિના સમયે સિંચાઈ માટે વીજ પુરવઠો મળતો હોવાથી તેમને રાત ઉજાગરા કરવા પડતા હતા. રાત્રિ દરમિયાન ખેતી કરવી આરોગ્ય માટે હાનિકારક હોવા ઉપરાંત જોખમભરી પણ હતી.

બનાસકાંઠા જિલ્લો એકબાજુ અરવલ્લીની ગિરીમાળાઓ અને બીજી બાજુ રણપ્રદેશ નજીક આવેલો હોવાથી રાત્રિના સમયે જંગલી પ્રાણીઓ તથા સાપ જેવા ઝેરી જીવજંતુઓનો ભય સતત રહેતો હતો. ક્યારેક ક્યારો ફૂટી જાય તો બેટરીના અજવાસમાં તેને બંધ કરવો પડતો, જેના કારણે ખેડૂતોને માનસિક અને શારીરિક તકલીફો સહન કરવી પડતી હતી. કિસાન સૂર્યોદય યોજના અમલમાં આવ્યા બાદ ખેડૂતોને દિવસે નિશ્ચિત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળતા આ તમામ સમસ્યાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

બનાસકાંઠા જેટકોના સુપ્રિટેન્ડેન્ટ એન્જિનિયર  એ.એલ. જેઠવાએ માહિતી આપતા જણાવ્યું કે, કિસાન સૂર્યોદય યોજના ગુજરાત સરકારની અતિ મહત્વપૂર્ણ ખેડૂતલક્ષી યોજના છે. જિલ્લામાં જેટકોના કુલ ૧૧૨ સબ સ્ટેશન કાર્યરત છે, જેના અંતર્ગત ૮૧૮ ગામડા અને કુલ ૧,૧૭,૮૪૫ લાભાર્થી ખેડૂતોનો સમાવેશ થાય છે. આ યોજનાના અમલ હેઠળ ૨૭ સબ સ્ટેશન સાથે જોડાયેલા ૯૨ ગામડામાં ૧૩,૫૨૮ ખેડૂતોને દિવસે બે શિફ્ટમાં વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે .ઉલ્લેખનીય છે કે, કિસાન સૂર્યોદય યોજનાથી ખેડૂતોને વિશ્વસનીય વીજ પુરવઠો મળતા પાકની પસંદગીમાં સ્વતંત્રતા વધી છે, સમયસર સિંચાઈ શક્ય બની છે અને ખેતી વધુ ઉત્પાદક બની છે. રાજ્ય સરકારની આ પહેલ ખેડૂતોના જીવનમાં સાચો “સૂર્યોદય” લાવી રહી છે.

કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત અમને દિવસે વીજળી પ્રાપ્ત થતા મારા જેવા અનેક ખેડૂતોને ફાયદો પહોંચ્યો છે :- ખેડૂત  કેશરભાઈ

આ બાબતે જગાણા ગામના ખેડૂત  કેશરભાઈ જણાવે છે કે, અગાઉ રાત્રે પિયત માટે ખેતરે જવું પડતું હતું અને સાપ-વિંછુના ડર વચ્ચે કામ કરવું પડતું હતું. હવે દિવસે વીજળી મળતા ખેતી કાર્ય વધુ સરળ, સુરક્ષિત અને આયોજનબદ્ધ બન્યું છે. તેઓ કહે છે કે, આ યોજનાથી માત્ર સુરક્ષા જ નહીં પરંતુ ખેતી ખર્ચમાં ઘટાડો અને ઉત્પાદન વધારાનો પણ મોટો લાભ મળ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં કિસાન સૂર્યોદય યોજના

 કુલ સબ સ્ટેશન : ૧૧૨

આવરી લેવાયેલા ગામડા : ૮૧૮

કુલ લાભાર્થી ખેડૂતો : ૧,૧૭,૮૪૫

દિવસ દરમિયાન વીજળી મેળવનારા :

સબ સ્ટેશન : ૨૭

ગામડા : ૯૨

ખેડૂતો : ૧૩,૫૨૮

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *