ખોદકામ અધૂરું મૂકી કોન્ટ્રાક્ટર ગાયબ
વાવણી અટકી અને સિંચાઈની પાઈપો તૂટતા ખેડૂતો પાયમાલ
બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળના સ્તર ઊંડા જતાં સરકાર દ્વારા નર્મદાના નીરથી તળાવો ભરવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. જોકે, વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરની લાપરવાહીને કારણે આ લોકકલ્યાણની યોજના પમરુ ગામના ખેડૂતો માટે મુસીબતનું કારણ બની છે. ધ્રાંડવથી ડીસાના જેરડા (ગુલાબસાગર તળાવ) સુધીની પાઇપલાઇનનું કામ છેલ્લા દોઢ મહિનાથી અધવચ્ચે લટકી પડતા ખેડૂતોની હાલત કફોડી બની છે.
પમરુ ગામના સીમ વિસ્તારમાં પાઇપલાઇન નાખવા માટે ખેતરોમાં મોટા પાયે ખોદકામ કરવામાં આવ્યું હતું. ખેડૂતોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટરે અડધું કામ કરીને ખોદકામ કરેલી હાલતમાં જ ખેતરો છોડી દીધા છે. અત્યારે ખેતીની સીઝન ચાલી રહી છે, પરંતુ ખેતરો ખોદેલા હોવાથી ખેડૂતો નવી વાવણી કરી શકતા નથી. દોઢ મહિનાથી ખેતરો પડતર રહેતા આર્થિક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.સિંચાઈની લાઈનો તોડી નાખી: પાઇપલાઇન નાખતી વખતે ખેડૂતોની પર્સનલ સિંચાઈની પાઈપો તોડી નાખવામાં આવી છે, જેનું હજુ સુધી સમારકામ કરાયું નથી. ખોદકામ દરમિયાન ખેતરમાં રહેલા ઉભા પાકને ભારે નુકસાન થયું હોવાના આક્ષેપ છે. નુકસાન અંગે હજુ સુધી કોઈ પણ પ્રકારનું સરકારી વળતર કે કોન્ટ્રાક્ટર તરફથી સહાય મળી નથી. પાણી અને ઘાસચારાની વ્યવસ્થા ખોરવાતા પશુપાલકોની ચિંતામાં પણ વધારો થયો છે.
”સરકાર પાણી આપે તે સારી વાત છે, પણ અમારા તૈયાર ખેતરો બગાડીને કામ અધૂરું મૂકી દેવું તે ક્યાંનો ન્યાય? નથી અમે વાવણી કરી શકતા કે નથી પશુઓને પાણી પાઈ શકતા. અમારી માંગ છે કે તાત્કાલિક ખેતરો સમતલ કરી નુકસાનીનું વળતર આપવામાં આવે તેમજ પમરુ ગામના ખેડૂતોએ એકસૂરે માંગ કરી છે કે તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને તાકીદ કરી તાત્કાલિક ધોરણે પાઇપલાઇનનું કામ પૂર્ણ કરાવવામાં આવે. ખોદકામ કરેલી જમીનને ફરીથી ખેતીલાયક (સમતલ) કરી આપવામાં આવે અને ખેડૂતોને થયેલા પાક તથા માળખાગત નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે. જો વહેલી તકે ઉકેલ નહીં આવે તો ખેડૂતોએ આંદોલનાત્મક માર્ગ અપનાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે.



