મહેસાણા કલેકટર કચેરીમાં પાંચ ગામના ખેડૂતોનું ધરણા પ્રદર્શન : આવેદન આપી ન્યાયની માંગ કરી

મહેસાણા કલેકટર કચેરીમાં પાંચ ગામના ખેડૂતોનું ધરણા પ્રદર્શન : આવેદન આપી ન્યાયની માંગ કરી

મહેસાણા જિલ્લા માટે જીવાદોરી સમાન ધરોઈ ડેમ વિકાસ યોજના અને સાબરમતી નદીની આસપાસના વિસ્તારમાં સરકારે શરૂ કરેલા વિકાસ કામો સામે સ્થાનિક લોકો અને ખેડૂતોમાં ભારે રોષ સર્જાયો છે. ધરોઈ ડેમ સહિતના આજુબાજુના વિસ્તારોમાં થઈ રહેલા વિકાસ કાર્યના કારણે પાંચ ગામના ખેડૂતોને પોતાની જમીન ખોવી પડશે તેવા ડર સાથે ધરોઈ વિસ્તારના ગ્રામજનો અને સરપંચોએ મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું.ધરોઈ ડેમ નજીકના વિસ્તામાં આવતા પાંચ ગામની જમીન સંપાદન થતાં ખેડૂતોમાં વ્યાપક રોષ જોવા મળ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ધરોઈ વિસ્તારને પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવાની યોજના અંતર્ગત ધરોઈ, ફત્તેપુરા, મ્હોર, બાપસર અને અંબાવાડા એમ પાંચ ગામોની જમીન સંપાદન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે પાંચેય ગામના ખેડૂતોની જમીન ધરોઈ વિકાસ સત્તા મંડળમાં જવાની હોવાથી સ્થાનિક ખેડૂતો જમીન વિહોણા બની જાય તેવી સ્થિતિ સર્જાવા પામી છે. મોટી સંખ્યામાં પાંચ ગામના ગ્રામજનો, સરપંચો સાથે ખેડૂત આગેવાનોએ મહેસાણા જિલ્લાના કલેક્ટર કચેરીમાંધરણાં કરી ધરોઈ વિકાસ મુદ્દે વિરોધ પ્રદર્શન કરી પોતાની નાનકડી જમીન બચાવવા માટે માંગ કરતું આવેદન આપ્યું હતું.

ધરોઈ વિકાસ યોજનાના વિરોધમાં જ્યારે પાંચ ગામના ખેડૂતો લાલઘૂમ થયા છે ત્યારે જિલ્લા કલેકટરને આવેદન આપવા આવેલા ખેડૂતોએ જણાવ્યું હતું કે, જો ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરીને પણ અમે અમારી બચેલી જમીન પાછી લઈશું. જે અનુસંધાને ખેડૂતોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે, ભૂતકાળમાં ડેમ માટે જમીન આપ્યા બાદ હવે બાકી બચેલી જમીન પર જ ખેડૂતોનો આજીવિકાનો એકમાત્ર આધાર છે. ગ્રામજનોએ ચીમકી આપતા જમાવ્યું હતું કે જો સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે અને જમીન સંપાદનની પ્રક્રિયા રોકવામાં નહીં આવે તો આગામી સમયમાં આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને સરકારનો પુરજોશમાં વિરોધ કરી અમે અમારી જમીન પરત મેળવવા જીવ આપી દઈશું.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *