બનાસકાંઠા જિલ્લામાં સતત ઉંડા ઉતરી રહેલા ભૂગર્ભ જળની સમસ્યા વચ્ચે ડીસાના ટેટોડા ગામ માટે નર્મદાના નીર આશીર્વાદ સમાન સાબિત થયા છે. બનાસ ડેરીના સહયોગ અને ગ્રામજનોની લોકભાગીદારીથી નિર્મિત તળાવમાં સરકારે નર્મદાનું પાણી ઠાલવતા ખેડૂતો હવે રણ જેવી સૂકી જમીનમાં હરિયાળી લાવી રહ્યા છે.
અગાઉ પાણીના અભાવે ટેટોડા ગામના ખેડૂતો ખેતી કરી શકતા નહોતા અને મસમોટી જમીનો પડતર પડી રહેતી હતી. પશુપાલન અને ખેતી પર નભતા આ વિસ્તારમાં ખેડૂતો દર વર્ષે મોટું આર્થિક નુકસાન વેઠતા હતા. જોકે, હવે તળાવ ભરાઈ જવાથી અંદાજે ૨૦ થી ૨૫ જેટલા ખેડૂતોએ આ તળાવમાંથી કનેક્શન મેળવી, મોટર મૂકીને સિંચાઈ શરૂ કરી દીધી છે. ખેડૂતો હવે આત્મવિશ્વાસ સાથે પૂરતી ખેતી કરી રહ્યા છે.માત્ર સીધી સિંચાઈ જ નહીં, પરંતુ તળાવ ભરાવાને કારણે ગામના કુવા અને બોરના તળમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. પહેલા બોરના તળ ખૂબ ઊંડા ગયા હોવાથી પાણી ખેંચવામાં મુશ્કેલી પડતી અને પ્રેશર મળતું નહોતું.હાલમાં તળાવના રિચાર્જિંગથી જમીનમાં પાણી ઉતરતા બોરના પાણીના સ્તર ઊંચા આવ્યા છે, જેનાથી ખેડૂતોને હવે ખેતી માટે પૂરતું પાણી મળી રહ્યું છે.
ખેડૂતોએ ભગીરથ કાર્ય માટે બનાસ ડેરી અને રાજ્ય સરકારનો આભાર માન્યો
”બનાસ ડેરી અને સરકારના સહયોગથી જે તળાવ બન્યું છે તેનાથી અમને નવું જીવન મળ્યું છે. અમારી માગ છે કે સરકાર આ નર્મદાનું પાણી હંમેશા ચાલુ રાખે જેથી અમારે ક્યારેય હિજરત ન કરવી પડે.” ખેડૂતોએ આ ભગીરથ કાર્ય માટે બનાસ ડેરી અને રાજ્ય સરકારનો આભાર માન્યો છે. આ મોડેલ હવે આસપાસના ગામો માટે પણ જળ સંચયની પ્રેરણા પૂરી પાડી રહ્યું છે.


