પાણીના ભરાવાને લઇ બાલારામ અને અંબાજીને જોડતો માર્ગ બંધ થયો
સામાન્ય વરસાદમાં પણ અંડરબ્રીજમાં પાણી ભરાઇ જવાની સમસ્યા સર્જાઈ
પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામે રાત્રીના સમયે પડેલા ભારે વરસાદને લઇ રેલવેના અંડરબ્રીજમાં પાણી ભરાઇ જતા વાહન વ્યહવાર ઠપ્પ થઇ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઇ જવા પામ્યા હતા. જોકે બાલારામ અને અંબાજીને જોડતા આ મુખ્ય માર્ગ પર આવેલ અંડરબ્રીજમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઇ જવાની સમસ્યા સર્જાઇ રહી છે.
પાલનપુર તાલુકામાં રાત્રી દરમિયાન ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો જેને લઇને નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઇ જવા પામ્યા હતા જેમાં ચિત્રાસણીથી બાલારામ અને અંબાજીને જોડતા મુખ્ય માર્ગ પર આવેલ રેલવેના અંડર બ્રિજ પણ પાણીમાં ગરકાવ થવા પામ્યો હતો. બ્રિજ અંદર ઘૂંટણ સમુ પાણી ભરાઇ જતા વાહન વ્યહવાર ઠપ્પ થઇ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા જોકે સામાન્ય વરસાદમાં આ અંડરબ્રીજમાં પાણી ભરાઇ જવાની સમસ્યાને લઇ બાલારામ તેમજ અંબાજી જતા લોકો હાલાકીમાં મુકાઇ જતા હોય છે જેને લઇ અહી વરસાદી પાણીના ભરાવાની જટીલ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ ઉઠવા પામી છે.

