શાંતિ, આનંદ, પ્રસન્નતા, પ્રેમ, સરળતા, સચ્ચાઈ, સાદગી, સ્વચ્છતા જેવા સદગુણોથી સૌને નવજીવન બક્ષતું આબુરોડનું પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય
શાંતિ અને આનંદની ખોજમાં આપણે હજારો-લાખો કિલોમીટર ફરીએ છીએ છતાં નિષ્ફળ જઈએ છીએ.૧૯૧૯ માં જ્યારે સંસ્થાપિત લીગ ઓફ નેશન્સનો પ્રયોગ નિષ્ફળ ગયો અને ચારે બાજુ નૈતિક પતન ચરમસીમા પર હતું એવી વિપરીત પરિસ્થિતિઓમાં દ્રિતીય વિશ્ર્વ યુધ્ધથી પૂર્વના વર્ષોમાં ૧૯૩૭ માં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્ર્વરીય વિશ્ર્વ વિદ્યાલયની સ્થાપના થઈ. ૧૯૩૬-૩૭ માં જ્યારે દાદા લેખરાજ ૬૦ વર્ષના હતા ત્યારે એમને પરમાત્માને મળવાની તીવ્ર ઉત્કંઠા થઈ. સર્વ પ્રથમ એમને જયોતિ સ્વરૂપ નિરાકાર પરમપિતા શિવનો સાક્ષાત્કાર થયો.દ્રિતીય સાક્ષાત્કારમાં એમને પ્રેમ,શાંતિ,એકતા,સુસ્વાસ્થય,કાયદા અને વ્યવસ્થાથી પરિપૂર્ણ મૂલ્ય આધારિત સ્વર્ણિમ સંસ્કારના સાક્ષાત્કાર થયા.પરમાત્માના જ્ઞાનને જન-જન સુધી પહોંચાડવા નૈતિક,માનવીય અને આધ્યાત્મિક મૂલ્યોની પુનઃસ્થાપના માટે ઔપચારિક રૂપથી ૧૯૩૭ માં આ સંસ્થાની સ્થાપના થઈ. દાદા લેખરાજનો કલકતામાં હીરાનો ખૂબ જ મોટો વ્યવસાય હતો તે તેમના ભાગીદારને સોંપી તેઓ પોતાના જન્મસ્થાન હૈદ્રાબાદ સિંધમાં (હાલના સમયમાં જે પાકિસ્તાનમાં છે) પાછા ચાલ્યા ગયા.ત્યાં તેમણે એક ટ્રસ્ટ બનાવ્યું. જેમાં કેવળ માતાઓ અને બહેનો જ હતી.દાદા લેખરાજે પોતાની તમામ ચલ-અચલ સંપતિ આ સંસ્થા ચલાવવા માતાઓ-બહેનોને સોંપી દીધી.નારી શકિતને ઉચ્ચ કોટિનું સન્માન અને સ્થાન આપી નારી શકિતને નૈતિક તેમજ આધ્યાત્મિક મૂલ્યોની ક્રાંતિ લાવવામાં અગ્રેસર બનાવી.સમગ્ર વિશ્ર્વમાં માત્ર અને માત્ર મહિલાઓ દ્રારા જ સંચાલિત એવી અતિ પ્રેરણાદાયી સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્ર્વરીય વિશ્ર્વ વિદ્યાલય આબુરોડના પ્રાંગણમાં પગ મૂકતાં જ શાંતિ, આનંદ,સ્નેહ,પ્રસન્નતા,સહજતા,સરળતા,સ્વચ્છતા,સાદગી તેમજ સચ્ચાઈનો અહેસાસ થવા લાગે.
તાજેતરમાં જ તારીખ ૨૯-૮-૨૦૨૨ સોમવાર થી તારીખ ૨-૯-૨૦૨૨ શુક્રવાર એમ પાંચ દિવસ સુધી સમગ્ર ભારતના મીડિયા સાથે સંકળાયેલ મહાનુભાવોની દિવ્ય કોન્ફરન્સ હતી જેમાં ચાર દિવસ હાજર રહેવાનો મને પણ મોકો મળ્યો.આ કોન્ફરન્સમાં સમગ્ર ભારત તેમજ નેપાળના થઈને ૧૮૦૦ જેટલા ખૂબ જ અનુભવી પત્રકારો હતા.સેંકડો એકરમાં પથરાયેલી આ પ્રેરણાદાયી સંસ્થા જાેવાલાયક,દર્શનલાયક,જાણવાલાયક છે.શ્રેષ્ઠ સમાજના નવનિર્માણ હેતુ આ સંસ્થામાં સતત કોઈ ને કોઈ પ્રકારની કોન્ફરન્સ કે ઉચ્ચ કક્ષાના પ્રેરણાદાયી કાર્યક્રમો-શિબિરો ચાલુ જ હોય છે.આ સંસ્થામાં
પ્રશાસક,શિક્ષણ,રાજનૈતિક,શીપીંગ,પરિવહન,ખેતી,આઈ.ટી.,ધાર્મિક,સમાજસેવા,મહિલા,કલા-સંસ્કૃતિ,ન્યાય,વિજ્ઞાન,સ્પાર્ક,યુવા,વ્યાપાર-ઉદ્યોગ,મીડિયા,સુરક્ષા,ખેલ,આરોગ્ય જેવા અલગ અલગ કુલ ૨૦ વિભાગો છે.આ તમામ વિભાગોને લગતા કોઈ ને કોઈ કાર્યક્રમો અહીંયાં સતત ચાલુ જ હોય છે.ભારત,નેપાલ તેમજ સમગ્ર વિશ્ર્વના અલગ અલગ દેશોમાંથી લાખો માણસોએ આ સંસ્થાની મુલાકાત લઈ ગર્વ અને ગૌરવ અનુભવેલ છે.
અંદાજે ૩૫૦૦૦ વ્યકિતઓ એકીસાથે ભોજન લઈ શકે તેવી અતિ ઉત્તમ વ્યવસ્થા છે.હજારો માણસો રાત્રિ નિવાસ કરી શકે તેવી પણ સુંદર વ્યવસ્થા છે.આ સંસ્થા દ્રારા પર્યાવરણ સુરક્ષાને અનુલક્ષીને અત્યાર સુધીમાં ૪૫ લાખ જેટલાં વૃક્ષો વાવવામાં આવ્યાં છે જેમાં મોટા ભાગનાં ફળાઉ વૃક્ષો છે.ભારત દેશના વિવિધ રાષ્ટ્રપતિ મહોદયશ્રીઓ,વડાપ્રધાનશ્રીઓ,અલગ અલગ રાજ્યોના મુખ્ય પ્રધાનશ્રીઓ,રાજ્યપાલશ્રીઓ ,અનેક મંત્રીશ્રીઓ,વિવિધ પક્ષોના સંગઠનના મહાનુભાવો સહિત સૌ કોઈએ ભૂતકાળમાં આ સંસ્થાની કોઈ ને કોઈ સ્વરૂપે મુલાકાત લઇને આનંદ,ગર્વ,ગૌરવ અને રાજીપો વ્યક્ત કર્યો છે.શિસ્ત,સંયમ,સ્વચ્છતા,મર્યાદાને વરેલી આ સંસ્થામાં હજારો માણસો એકીસાથે ભોજન પ્રસાદ લેતા હોય તો પણ સહેજેય અવાજ સાંભળવા મળતો નથી..ઓમ શાંતિથી દરેકને સંબોધવાની પ્રેરણાદાયી પ્રથા જીવનમાં પણ કાયમી શાંતિ આણી શકે તેવી આ સરસ સંસ્થા છે.માઉન્ટ આબુમાં આ સંસ્થાનાં વિવિધ સંકુલો છે.અહીંયાં સ્થાયી નિવાસ કરતા લગભગ બે હજાર જેટલા ભાઈઓ-બહેનો છે.સમગ્ર ભારત તેમજ વિશ્ર્વમાં થઈને ત્રીસ લાખ જેટલા સભ્યો ધરાવતી આ સંસ્થાનો દરેક સભ્ય રોજના એક રૂપિયાનું યોગદાન આપે છે.દર વર્ષે વિશાળ મહા સંમેલનો થાય છે.સદભાવ,સૌજન્યતા ,સરળતાથી બધા જ હળીમળીને રહે છે અને સ્વૈચ્છિક કામ કરે છે.આ એક શ્રેષ્ઠતર વિશ્ર્વ નિર્માણ માટેની એકેડમી કે યુનિવર્સિટી છે.
દરેક વ્યકિતનું આત્મિક,આધ્યાત્મિક,નૈતિક ઉત્થાન થાય તેવા અનેક પ્રકારના કોર્ષ તેમજ પ્રયોગો થકી લાખો વ્યકિતઓને વ્યસનમુકત કરવામાં સંસ્થાનું અજાેડ પ્રદાન છે. આબુરોડ આજુબાજુનાં ૧૭ ગામોને દતક લેવામાં આવેલ છે.આ ગામોમાં શિક્ષણ,પોષણ,વિકાસને લગતી તમામ વ્યવસ્થા આ સંસ્થા દ્રારા થાય છે.આ ૧૭ ગામના તમામ ભાઈઓ અને બહેનો પણ સંસ્થાના તમામ કાર્યોમાં સંપૂર્ણ સહકાર આપે છે.સંસ્થાના ડીસા સ્થિત મીડિયા વિભાગના સંયોજક તેમજ ખૂબ જ અગ્રણી સમર્પિત કાર્યકર શશીકાંતભાઈ ત્રિવેદી (મોબાઇલઃ૯૮૯૮૩૧૮૫૬૪ ) ના આમંત્રણથી અમારે જવાનું બનેલ જે અમારા માટે સદભાગ્ય કહી શકાય. આ સંસ્થાના પ્રાંગણમાં નાનાંમોટાં અનેક કાર્યાલયો,દવાખાનું,ધ્યાન કેન્દ્રો,નિવાસસ્થાનો,કોન્ફરન્સ હોલ,બાગ-બગીચા,ઉચ્ચ કક્ષાનું ભોજનાલય,રસોઈ ગૃહ,મેડીટેશન હોલ,ડાયમંડ જ્યુબીલી હોલ,ગેરેજ,પાર્કિંગ સહિત વિવિધ પ્રકારની અવર્ણનીય અને અદભૂત વ્યવસ્થા છે.માત્ર અને માત્ર નસીબદાર,પૂન્યશાળી અને ભાગ્યશાળી હોય તેવા મહાનુભાવો જ આ સંસ્થાની મુલાકાતે આવે છે.આ સંસ્થાની દિવંગત તેમજ વર્તમાન દીદીઓના પ્રેરણાદાયી જીવન વિષે ઘણું બધું લખી શકાય તેમ છે.
જીવનમાં પદ,પૈસો,પ્રતિષ્ઠાને પૂર્ણરૂપે પ્રાપ્ત કર્યા પછી પણ જ્યારે શાંતિ કે આનંદની પ્રાપ્તિ થતી નથી ત્યારે જાે એક નાનકડો વિચાર આવે કે ઝબકારો થાય તો અવશ્ય આ સંસ્થાની મુલાકાત લેવાનું ભૂલતા નહી.મારા વડીલ ગુરૂજી માનનીય શ્રી કનુભાઈ આચાર્યનું પ્રવચન પણ શ્રેષ્ઠતમ હતું.આ સંસ્થા વિષે ઘણું બધું લખી શકાય તેમ છે પણ સ્થાન મર્યાદાને લીધે આજે આપ સૌ સુજ્ઞ
વાંચકો સમક્ષ આટલી વિગતો રજૂ કરી આનંદ અનુભવું છે.
આવતા દિવસોમાં વિશેષ માહિતી સાથે ફરી પણ એકાદ-બે લેખો
લખીશ.આપની અનૂકુળતાએ સ્થાનિક કેન્દ્ર સાથે સંકલન કરી ક્યારેક આબુરોડ પધારી આ સંસ્થાની અવશ્ય મુલાકાત લેશો
તેવી આદરપૂર્વક વિનંતી.
ભગવાનભાઈ ઠક્કર (બંધુ)
ડીસા મોબાઇલઃ૯૮૨૫૬૩૮૬૪૩
Tags Rakhewal rakhewaldaily