![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/02/2-2.jpg)
નિખાલસતા,નિયમિતતા,નિસ્વાર્થતા,નિષ્ઠા જેવા સદગુણોને લીધે પ્રેરણાદાયી જીંદગી જીવતા ડીસાના દીલીપભાઈ દેવરામભાઈ રતાણી
આ જગતમાં કેટલાક માણસો એવા છે કે જેઓ કોઈપણ પ્રકારની અપેક્ષા સિવાય પરોપકારનાં કાર્યો કરી છૂટે છે.આવા સદગુણી તેમજ ૠણાનુરાગી માણસોને લીધે અનેક સત્કાર્યોમાં સતત સહકાર મળતો રહે છે.પિતા દેવરામભાઈ વખતરામભાઈ રતાણી/ઠકકર અને માતા ધૂડીબેનના પરિવારમાં કાંકરેજ તાલુકાના ભદ્રેવાડી ખાતે તારીખ ૧-૬-૧૯૬૪ ના રોજ જન્મેલા અને હાલે ડીસા સ્થાયી થયેલા દીલીપભાઈ રતાણી સેવાભાવી અને પરોપકારી વ્યક્તિત્વના મહામાલિક છે.તેમની ૩ વર્ષની નાની ઉંમરે જ પિતાજી ધંધાર્થે ભદ્રેવાડીથી હારિજ તાલુકાના પીપલાણા ગામે રહેવા જતાં તેમનું પ્રાથમિક શિક્ષણ પીપલાણા ગામે જ થયું.માધ્યમિક શિક્ષણ ડીસાની સરદાર પટેલ સ્કૂલમાં થયું.ધોરણ ૧૨ નો અભ્યાસ આદર્શ હાઈસ્કૂલમાં કર્યો.બી.કોમ.નો અભ્યાસ ડીસા ડી.એન.પી.કોલેજમાં કરી ૧૯૮૪ માં ગ્રેજ્યુએટ થયા.એ વર્ષે જ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં ક્લાર્કની લેખિત તેમજ મૌખિક પરિક્ષામાં પાસ થતાં ક્લાર્ક તરીકે જોડાયા.આ સર્વિસ દરમિયાન દાંતીવાડા તેમજ ડીસા એમ બે સ્થળોએ સંતોષકારક સેવા બજાવી તારીખ ૩૦-૬-૨૦૨૨ ના રોજ હેડ ક્લાર્ક તરીકે ઈજ્જતપૂર્વક નિવૃત થયા.
નિખાલસતા, નિયમિતતા, નિષ્ઠા, નિસ્વાર્થતા, કર્મઠતા, જાગૃતતા,
પરોપકાર, સેવા એ એમના જીવનના પાયાના મૂળભૂત મજબૂત સદગુણો છે. ખૂબ જ સારા સદગુણો, સંસ્કારો તેમજ પોઝીટીવ વિચારસરણીને લીધે તેઓ અહંકાર, અદેખાઈ, તોછડાઈ, ઈર્ષા, નફરત, આઘાપાછી જેવા અવગુણોથી પણ કાયમ જોજનો દૂર રહ્યા છે.ડીસામાં કચ્છ વાગડ લોહાણા સમાજ ખૂબ જ સક્રિય,જાગૃત, રચનાત્મક, અનેક સત્કાર્યોમાં સહયોગી તેમજ રાષ્ટ્રવાદી વિચારસરણી ધરાવતો ખૂબ જ મજબૂત, સંસ્કારી, ધાર્મિક અને સંગઠિત સમાજ છે. આ સમાજમાં દીલીપભાઈ રતાણી કારોબારી સભ્ય છે. અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજનની પ્રદેશ કારોબારીમાં તેઓ કારોબારી સભ્ય છે.ભારત વિકાસ પરિષદ મહાવિજય ડીસા શાખામાં”ભારતકો જાનો” પ્રકલ્પના તેઓ સક્રિય કન્વીનર છે.શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ,શ્રી જલારામ સેવા મંડળ,શ્રી જલારામ યુવા સંગઠન સહિતની ડીસાની સક્રિય,સમર્પિત તેમજ સેવાભાવી સંસ્થાઓ સાથે તેઓ ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે.નિસ્વાર્થભાવે કાર્ય કરતા દીલીપભાઈ બિનવિવાદાસ્પદ વ્યક્તિત્વ ધરાવે છે.તેમના ભાઈઓ આત્મારામભાઈ,મનુભાઈ,કાંતિભાઈ (ગાંધીનગર),વસંતભાઈ (અમદાવાદ) વિગેરે તેમના જીવનમાં સારી રીતે સેટ થયેલ છે.
ખૂબ જ સક્રિય રીતે ગૌસેવા હેતુ માટે શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા છેલ્લા ૨૪૫ ગુરૂવારથી નિયમિત રીતે પૂજ્ય જલારામપાનાં ભજન ડીસા નગરમાં સનાતન હિંદુ સમાજના સર્વ પરિવારોમાં થાય છે.આ ભજનમાં દીલીપભાઈનું પરિવાર નિયમિત રીતે આવી સંપૂર્ણ સહકાર આપે છે.શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસામાં કચ્છ વાગડ લોહાણા મહાજન ડીસાના પૂજ્ય જલારામ બાપા ઉપર અપાર- અખૂટ શ્રધ્ધા રાખતા તારાચંદભાઈ મજેઠીયા(ભામાશા),કમલેશભાઈ રાચ્છ (મોજીલો માણસ),મનુભાઈ રતાણી(નિજાનંદી નૃત્યકાર),રમણીકભાઈ મજેઠીયા,મુકેશભાઈ રાચ્છ,હસમુખભાઇ પોપટ,મુકેશભાઈ જી.આચાર્ય,શૈલેષભાઈ રાચ્છ,નટુભાઈ આચાર્ય,શંકરભાઈ હાલાણી,ભાવેશભાઈ પોપટ,હસુભાઈ રાજદે,વૈકુંઠભાઈ કારિયા,પ્રવિણભાઈ મજેઠીયા જેવા અનેક મહાનુભાવો સતત સહકાર આપે છે. જેમાં શ્રી દીલીપભાઈ રતાણીની સેવા પણ સરાહનીય છે.કચ્છ વાગડ લોહાણા સમાજ ડીસાનાં ઘણાં પરિવારો પૂજ્ય જલારામ બાપાના ભજનમાં આવે છે તેમજ જલારામ મંદિર ડીસાનાં સત્કાર્યોમાં પણ અવિરત સહયોગી બને છે.તેથી જ ડીસાનો કચ્છ વાગડ લોહાણા સમાજ સમૃધ્ધ,સંસ્કારી અને પ્રગતિશીલ છે.
દીલીપભાઈ ગુજરાતમાં વીરપુર, જૂનાગઢ, દ્રારિકા, બેટ દ્રારિકા, મોટા ભાગનું કાઠિયાવાડ, અંબાજી,બેચરાજી, નડાબેટ સહિત અનેક સ્થળોએ ફર્યા છે.આ બધામાં તેમને વીરપુર વધારે ગમે છે.વર્ષમાં બે વાર તેઓ પૂજ્ય જલારામબાપાના દર્શન માટે અચૂક
વીરપુર જાય છે.ભારતમાં તેઓ ચારધામ, હરિદ્વાર, મસૂરી, દહેરાદૂન, રામેર્શ્વરમ બદ્રીનાથ, મદુરાઈ, કોડાઈકેનાલ, કેદારનાથ, યમનોત્રી, ગંગોત્રી સહિત અનેક સ્થળોએ ફર્યા છે.આ બધામાં તેમને બદ્રીનાથ અને મસૂરી ખૂબ જ ગમે છે.કોઈપણ સંસ્થા કે સારા કામમાં દીલીપભાઈ રતાણીને હોદો મળે કે ના મળે પણ સારી રીતે સહકાર આપવાની તેમની ઉચ્ચ ભાવના અતિ વંદનીય છે.કયારેય કોઈને નડવું નહીં એ તેમનો મહત્વનો સિદ્ધાંત છે.એમનાં ધર્મપત્ની શ્રીમતી સરોજબેન ગૌપ્રેમી,ધર્મપ્રેમી અને સેવાપ્રેમી છે.સમગ્ર પરિવારને અપાર સ્નેહથી એક જ તાંતણે મજબૂત રીતે જોડી રાખનાર સરોજબેન આદર્શ ગૃહિણી છે.દીલીપભાઈને પુસ્તકો વાંચવાનો શોખ ખૂબ જ મર્યાદિત છે.ક્રિકેટ રમવું તેમજ સમાજસેવા કરવી એવા મહત્વના શોખ ધરાવતા દીલીપભાઈને અભિનંદન આપવા તેમનો મોબાઇલ નંબર ૯૯૦૪૫૩૭૪૪૫ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય સતશ્રી મહારાજને વારંવાર સાંભળવાનું તેમને ગમે છે.ઓગસ્ટ ૨૦૨૨માં એમના પરિવારના જ ૩૨ જેટલા સભ્યોને સાથે લઈને સાત દિવસની હરિદ્વારની યાત્રા કરેલ તે વખતે અતિશય આનંદ આવેલ તેનું તેઓ વિશેષ સ્મરણ કરે છે.તેમનો એક દીકરો ઉર્મિલકુમાર બી.કોમ.છે.બીજો દીકરો રોનકકુમાર બી.બી.એ.છે.બેઉ
પુત્રવધુઓ વીણાબેન તેમજ કોમલબેન ખૂબ જ સંસ્કારી,શિક્ષિત,ધાર્મિક તેમજ પરિવાર સહયોગી છે.તારીખ ૨૩-૧-૧૯૮૮ ના રોજ હારિજના રાચ્છ પરિવારનાં સરોજબેન સાથે દીલીપભાઈ લગ્નગ્રંથિથી બંધાયા બાદ પરિવારની એકતા તેમજ પ્રગતિ સારી જળવાઈ છે.ભવિષ્યમાં સતત ગૌસેવા તેમજ સમાજસેવા કરી નિવૃતી જીવનનો અનેરો નિજાનંદ માણવો અને પરમપિતા પરમાત્માનો અત્યંત
રાજીપો પ્રાપ્ત કરવો એવી એમની પ્રબળ ઈચ્છા છે.વાદવિવાદ, વિખવાદ,ટંટાફિસાદ, આઘાપાછી તેમજ કજિયાથી સતત દૂર રહેતા દીલીપભાઈ રતાણી ડીસા નગરની દરેક સેવાભાવી સંસ્થામાં નિરપેક્ષ ભાવે નિરંતર સહયોગી બને છે.
પ્રતિદિન વહેલી સવારે જાગી,જીવનની નિયમિત ક્રિયાઓ પતાવી,પૂજાપાઠ કરીને તેઓ જ્યાં જરૂર પડે ત્યાં પરિવાર તેમજ સમાજની સેવામાં લાગી જાય છે.તેમની શારીરિક તંદુરસ્તી ખૂબ જ સારી છે અને નિવૃતી ઉંમરે કોઈ પણ પ્રકારની દવા લેતા નથી એ પરમપિતા પરમાત્માની મહાકૃપા જ કહેવાય.
પૂજ્ય યશવંત શાસ્ત્રીજી મહારાજની દિવ્ય ભાગવત કથા તેમજ પૂજ્ય શ્રધ્ધા ગોપાલ દીદીજીની ગૌ રામકથાનું આગામી ઓગસ્ટ/અધિક શ્રાવણમાં હરિદ્વાર ખાતે શ્રી સ્વામિનારાયણ આશ્રમ મંદિરમાં આયોજન છે. આ કથાના સફળ આયોજન માટે શારદાબેન આચાર્ય, ભગવાનભાઈ બંધુ, મહેશભાઈ ઉડેચા,કનુભાઈ આચાર્ય, પ્રકાશભાઈ રામપ્રસાદજી ઠકકર, કમલેશભાઈ રાચ્છ,આનંદભાઈ પી.ઠકકર, દિનેશભાઈ ચોકસી,ભરતભાઈ ભાવિક, મણીભાઈ પટેલ-શેઠ,નરેશભાઈ ડી.આચાર્ય, નાથાલાલ બ્રહ્મક્ષત્રિય, શશીકાંતભાઈ ડી.ઠકકર, ભગીરથભાઈ સુથાર, કેશવલાલ ચાવડા, દીલીપભાઈ બારોટ સહિત અનેક ગૌભકતો તડામાર તૈયારી કરી રહેલ છે ત્યારે આ તૈયારીમાં દીલીપભાઈ રતાણીનું નિયમિત માર્ગદર્શન,સહકાર તેમજ લેખિત કામગીરી અત્યંત સરાહનીય છે.જગતપિતા પરમકૃપાળુ પરમાત્માએ તન, મન, ધનની જે કંઈ વિશેષ શકિત આપી છે તેનો સમગ્ર માનવ સમાજના હિતમાં સંપૂર્ણ સદઉપયોગ કરતા દીલીપભાઈ રતાણી ખૂબ જ હસમુખા અને શાંતિપ્રિય છે.સમાજહિતના વિચારો,ગૌસેવા તેમજ માનવસેવાના માધ્યમથી તેઓ પોતાના જીવનને ધન્ય ધન્ય બનાવી પ્રેરણાદાયી જીવન જીવી રહેલ છે.નિવૃતી બાદ પુત્રના બિલ્ડીંગ કન્સ્ટ્રકશનના વ્યવસાયમાં આંશિક સહકાર, સમય તેમજ માર્ગદર્શન આપે છે. નિયમિત ડીસા જલારામ મંદિરે દર્શનાર્થે તેમજ દર ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાના ભજનમાં પધારી સહકાર આપતા દીલીપભાઈ રતાણીની પોઝીટીવ વિચારસરણીથી ઘણા મિત્રો અતિ પ્રભાવિત છે. તેમનું જીવન સુખમય, શાંટ્ઠિતમય, નિરામય રહે અને તેઓ વધુ ને વધુ સત્કાર્યો કરતા જ રહે તેવી અઢળક શુભેચ્છાઓ સાથે
તેમના જીવનકાર્યને વંદનસહ અભિનંદન…
ભગવાનભાઈ ઠક્કર (બંધુ)
ડીસા
બી.એ.,બી.એસ.સી.,એલ.એલ.બી.