પડતર માંગણીઓ નહીં સ્વીકારાય તો નવેમ્બર મહિનામાં અચોક્કસ મુદતની હડતાળની ચીમકી
કમિશન વધારવા સાથે તકેદારી સમિતિ સભ્યોના બાયોમેટ્રિક વેરિફિકેશન લેવાની પણ માંગ
ડીસા સહિત બનાસકાંઠા જિલ્લા ફેર પ્રાઈઝ એસોસિએશનના દુકાનદારોએ તેમની વિવિધ પડતર માંગણીઓને લઈને વિવિધ તાલુકા મથકોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા દુકાનદારોએ સરકાર સમક્ષ પોતાનો અવાજ બુલંદ બનાવ્યો હતો અને ચેતવણી આપી હતી કે જો તેમની માંગણીઓનો સકારાત્મક નિકાલ નહીં આવે તો નવેમ્બર મહિનામાં તેઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે. જિલ્લા ફેર પ્રાઈઝ એસોસિયેશનના દુકાનદારોની મુખ્ય માંગણીઓમાં કમિશન વધારવાનો મુદ્દો કેન્દ્ર સ્થાને છે. દુકાનદારોએ સ્પષ્ટ માંગ કરી છે કે તેમને માસિક રૂ. 30,000 જેટલું કમિશન મળી રહે તેવી વ્યવસ્થા સરકારે કરવી જોઈએ. આ ઉપરાંત, તેમણે તકેદારી સમિતિના સભ્યોના બાયોમેટ્રિક વેરિફિકેશન લેવાની પણ માંગણી કરી છે, જેથી વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા અને નિયંત્રણ જળવાઈ રહે.
આવેદનપત્રમાં એસોસિયેશનના આગેવાનોએ જણાવ્યું હતું કે, મોંઘવારીના આ સમયમાં વર્તમાન કમિશનની રકમ પૂરતી નથી, જેના કારણે દુકાનદારોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. અનેક રજૂઆતો છતાં સરકાર દ્વારા તેમની પડતર માંગણીઓ પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે. જો સરકાર તાત્કાલિક ધોરણે તેમની માંગણીઓ સ્વીકારીને યોગ્ય પગલાં નહીં ભરે, તો સમગ્ર રાજ્યની સાથે જિલ્લાના તમામ ફેર પ્રાઈઝ દુકાનદારો વિતરણ પ્રથાથી અળગા રહીને અચોક્કસ મુદતની હડતાળમાં જોડાશે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આગામી નવેમ્બર મહિનામાં રાશન મેળવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે.
રાશન વિતરણ પ્રથા ખોરવાશે
જિલ્લા ફેર પ્રાઈઝ એસોસિએશનના નેજા હેઠળ દુકાનદારોના આ આંદોલનને પગલે હવે બનાસકાંઠા જિલ્લાના ગરીબ પરિવારોને સસ્તા અનાજનો જથ્થો સમયસર મળી રહે છે કે કેમ ? તે જોવું રહ્યું. ત્યારે આ મુદ્દે સરકાર કેવું વલણ અપનાવે છે ? તેના પર સૌની નજર ટકેલી છે.

