ફક્ત કોલેજના જ્ઞાન આધારિત નોકરીની તકો મેળવવી મુશ્કેલ: નવીન સ્કીલ ડેવલપ કરવી જરૂરી, એમ.જે.પ્રજાપતિ
જિલ્લા રોજગાર કચેરી અને એમ.એ.પરીખ ફાઈન આર્ટ્સ અને આર્ટ્સ કોલેજ પાલનપુરના સંયુક્ત ઉપક્રમે આજરોજ જી.ડી.મોદી કોલેજ પાલનપુર ખાતે સ્પર્ધાત્મક અને ભવિષ્યમાં આવનારી ટેક્નોલોજી અને જોબ માર્કેટ વિષય પર વિદ્યાર્થીઓ સાથે પરિસંવાદ યોજાયો હતો. પાલનપુર ખાતે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા રોજગાર અધિકારી મુકેશ પ્રજાપતિએ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, છેલ્લા દસ વર્ષમાં પરીક્ષાઓના માળખા અને વિષય વસ્તુમાં ફેરફારો થયા છે, તેથી ઉમેદવારોએ નિયમિત અભ્યાસ સાથે એનાલિટિકલ સ્કીલ્સ વિકસાવવી અને વર્તમાન પ્રવાહો અંગે જ્ઞાન મેળવવું અત્યંત જરૂરી છે.
તેમણે વિદ્યાર્થીઓ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના આગમનથી રોજગાર ક્ષેત્રમાં થનારા ફેરફારો વિશે માહિતગાર કરતા વર્લ્ડ ઇકોનોમિક ફોરમ-2025 ના જોબ રિપોર્ટનો ઉલ્લેખ કર્યો હતો. 2030 સુધીમાં લગભગ 92 મિલિયન જોબ્સ ખતમ થશે જ્યારે 78 મિલિયન નવી જોબ્સ ઉભી થશે, તેમ છતાં 14 મિલિયન જોબ્સનો નેટ ઘટાડો થશે. ખાસ કરીને કલાર્ક, કેશિયર, વહીવટી સહાયક, એકાઉન્ટન્ટ, સ્ટોર કીપર, સેલ્સ વર્કર અને ટેલિમાર્કેટર જેવી નોકરીઓમાં ઝડપી ઘટાડો નોંધાશે તેમ જણાવ્યું હતું.
તેમણે વિદ્યાર્થીઓને સમયોચિત રહેવા માટે ડિજિટલ જ્ઞાન સાથે એક્સેલ, વર્ડ, ઈ-મેલ જેવા બેઝિક કોર્સ તેમજ એ.આઈ ટૂલ્સ અને અન્ય ટેક્નિકલ સ્કિલ્સ શીખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કોલેજના પ્રોફેસરઓ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેની અંદર 220 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

