સરકારી યોજનાઓનો લાભ ગરીબો સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ
સરકારી યોજનાઓનો અસરકારક અમલ અને વહીવટી પારદર્શિતા જાળવવાના ઉદ્દેશ્ય સાથે ડીસા ગ્રામ્ય મામલતદાર વિપુલ બારોટ દ્વારા આજે ડીસા તાલુકાના ગ્રામીણ વિસ્તારોની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. મામલતદારની ટીમે થેરવાડા, ભચારવા, ઝેરડા અને નાગફણા સહિતના ગામોમાં વિવિધ સરકારી કચેરીઓમાં યોજનાઓના અમલની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.મામલતદાર બારોટ દ્વારા સૌપ્રથમ ગામ પંચાયતની મુલાકાત લેવામાં આવી હતી અને ત્યાંના વહીવટી રેકર્ડ્સની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ પંચાયત કક્ષાએ થતા કામોમાં નિયમિતતા અને પારદર્શિતા જળવાય છે કે નહીં તેની ખાતરી કરવાનો હતો .ગ્રામ્ય મામલતદાર દ્વારા શાળાઓમાં ચાલતી મધ્યાહન ભોજન યોજનાની પણ મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન ભોજનની ગુણવત્તા, જથ્થો અને વિતરણ વ્યવસ્થા અંગે તપાસ કરવામાં આવી હતી. મામલતદાર દ્વારા બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી.
આ મુલાકાતમાં પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર (સસ્તા અનાજની દુકાન) ની ચકાસણી પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું.મામલતદાર બારોટે દુકાનના રેકર્ડ્સ ચકાસીને દુકાન સંચાલકોને કડક આદેશ આપ્યો હતો કે ”કોઈપણ ગ્રાહક સસ્તા અનાજના લાભથી વંચિત ન રહેવો જોઈએ. ગ્રાહકોને પૂરતો અને નિયમિત લાભ મળી રહે તે સુનિશ્ચિત કરવું.”તેમણે ગામડાઓમાં રહેતા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને સરકારી યોજનાઓ, જેમ કે રેશન કાર્ડ યોજના, આવાસ યોજના વગેરેનો સંપૂર્ણ અને તાત્કાલિક લાભ મળે તે માટે ખાસ ધ્યાન રાખવા પર ભાર મૂક્યો હતો અને આ માટે સંબંધિત કર્મચારીઓને તાકીદ કરી હતી. મામલતદારની આ આકસ્મિક મુલાકાતથી ગ્રામીણ કક્ષાના વહીવટી તંત્રમાં સળવળાટ જોવા મળ્યો છે અને યોજનાઓના અમલને વેગ મળશે તેવી આશા સેવાઈ રહી છે.

