સમગ્ર ગુજરાતમાં હાલ નવરાત્રિનો માહોલ જામ્યો છે, ત્યારે ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ મોડી રાત સુધી ગરબે ઘૂમીને માતાજીની ભક્તિમાં લીન બન્યા છે. આ ભક્તિમય માહોલ વચ્ચે ડીસાના એક જાગૃત તબીબ ડો. દીપકભાઈ પરમાર ગરબાની સાથે લોકોને અંગદાનના મહાદાન માટે જાગૃત કરવાનો સરાહનીય પ્રયાસ કરી રહ્યા છે.
તેઓ ગરબાના મેદાનમાં ‘અંગદાન મહાદાન’ ના પોસ્ટર સાથે જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ કરી રહ્યા છે નવરાત્રિના ઉત્સવમાં જ્યાં યુવાધન માત્ર મનોરંજનમાં વ્યસ્ત હોય છે, ત્યાં ડો. દીપકભાઈ પરમાર એક ઉમદા આશય સાથે ગરબાના મેદાનમાં જોવા મળ્યા હતા. તેઓ ગરબે ઘૂમતા સમયે પણ પોતાના હાથમાં “અંગદાન મહાદાન” અને અંગદાન પ્રત્યે જાગૃતિ ફેલાવતા અન્ય પોસ્ટરો લઈને ઊભા રહ્યા હતા અને અન્ય ખેલૈયાઓ તથા ઉપસ્થિત લોકોને આ અંગે માહિતી આપી રહ્યા હતા.તેમણે જણાવ્યું હતું કે અંગદાનથી અન્યના જીવનમા ઉજાસ ફેલાય છે.
ડો. દીપકભાઈનો ઉદ્દેશ્ય છે અંગદાન થકી અન્યના જીવનમાં ઉજાસ ફેલાવવો. આ પવિત્ર પર્વમાં લોકોની ધાર્મિક ભાવના ઉચ્ચ હોય છે, ત્યારે આ ભાવનાને માનવ સેવા તરફ વાળીને તેઓ જીવનરક્ષક સંદેશ આપી રહ્યા છે.
અંગદાનનો સંકલ્પ અનેક લોકોએ લીધો
ડો. દીપકભાઈ પરમાર અંગદાન જાગૃતિ માટે સતત કામ કરી રહ્યા છે. તેમના પ્રયાસોના પરિણામે ડીસામાં અત્યાર સુધીમાં અનેક લોકોએ અંગદાન કરવાનો સંકલ્પ લીધો છે, જે એક મોટી સિદ્ધિ છે. ગરબા મહોત્સવ જેવા જાહેર સ્થળોનો ઉપયોગ કરીને ડો. દીપકભાઈ સાચા અર્થમાં માનવ સેવા અને સામાજિક જવાબદારીનું અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે, જેનાથી ડીસાનું નામ ગૌરવવંતુ બન્યું છે. તેમના આ પ્રેરક કાર્યને સર્વત્ર આવકાર મળી રહ્યો છે.

