ધાનેરા તાલુકામાં યુરિયા ખાતરની અછત અને કાળાબજારીથી ત્રસ્ત ખેડૂતોએ સરકારી અધિકારીઓની નિષ્ક્રિયતાનો પર્દાફાશ કર્યો છે. જે કામ કૃષિ અધિકારીઓએ કરવું જોઈએ તે કામ ધાનેરાના જાગૃત ખેડૂતોએ કરી સંગ્રહખોરી કરાયેલા ખાતરનો જથ્થો શોધી કાઢયો હતો અને વેપારીઓ પાસેથી વ્યાજબી ભાવે ખાતર મેળવ્યું હતું.
વહેલી સવારથી ધાનેરા ખરીદ-વેચાણ સંઘ ખાતે યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી હતી. જોકે સંઘ દ્વારા ખાતરનો જથ્થો ન હોવાનું જણાવવામાં આવતા ખેડૂતો ધાનેરા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને ખાતરની અછત અંગે રજૂઆત કરી હતી.જેમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે ધાનેરા ખરીદ-વેચાણ સંઘ અને અંદાજિત ૧૦૦ જેટલી ખાનગી દુકાનોમાં ખાતરનું વેચાણ થાય છે,પરંતુ જ્યારે ખેડૂતોને તેની જરૂરિયાત હોય ત્યારે ખાતરનો જથ્થો ખૂટી જાય છે.
ત્યારે ખેડૂતોની આ રજૂઆત સાંભળ્યા બાદ મામલતદારે તેમને ખાતરી આપી હતી.જોકે, સવારથી સાંજ સુધી ખાતર માટે હેરાન-પરેશાન થતા ખેડૂતોને વારંવાર તારીખો આપવામાં આવી રહી હતી. ત્યારે ખેડૂતોએ જાતે જ ખુલાસો કર્યો કે ધાનેરાના કેટલાક વેપારીઓ ખાતરના જથ્થાનો સંગ્રહ કરી કાળાબજારી કરી રહ્યા છે. જે અંગેની મામલતદાર સમક્ષ રજૂઆત કર્યા બાદ ખેડૂતો ગંજબજાર રોડ પર આવેલી અંબિકા શોપિંગ ખાતે પહોંચ્યા હતા. ત્યારે તેમને માહિતી મળી હતી કે ત્યાં યુરિયા ખાતરનું વેચાણ થઈ રહ્યું છે. ખેડૂતોએ એકઠા થઈ દુકાન ખોલાવતા અંદરથી યુરિયા ખાતરનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
ખેડૂતોનો આક્રમક મિજાજ જોઈ સંગ્રહખોરી કરનાર વેપારીઓને આખરે ખેડૂતોને યુરિયા ખાતર યોગ્ય ભાવે આપવું પડયું હતું. ૮૦ જેટલી દુકાનોમાં યુરિયા ખાતરનો જથ્થો પડયો છે. ખાતરની અછત ઊભી કરી અને ભાવમાં વધારો કરી વધુ નફાની લાલચમાં વેપારીઓ ખેડૂતોની પજવણી કરી રહ્યા છે. આમ ખેડૂતોએ આજે સમયસર હપ્તા અને દિવાળી લેતા અધિકારીઓની પોલ પણ ખોલી નાખી હતી.હવે જોવાનું એ છે કે સંગ્રહખોરી અને કાળાબજારી કરતા વેપારીઓ સામે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે ? શું આ ઘટના બાદ કૃષિ વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર જાગૃત થશે અને ખેડૂતોને યોગ્ય ભાવે ખાતર ઉપલબ્ધ કરાવવા માટે કડક પગલાં લેશે ?



