સમગ્ર ભારતમાં રાજગરાનું સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં
ડીસા એપીએમસી ના ઈતિહાસમાં સૌપ્રથમવાર રાજગરાની ઐતિહાસિક આવક; બનાસકાંઠા જિલ્લાની ડીસા એપીએમસી માં હાલમાં રાજગરા ની દૈનિક પાંચ હજારથી વધુ બોરીની આવક સામે અત્યાર સુધીની સૌથી વધુ રેકોર્ડ બ્રેક આવક ગણાય છે. ડીસા – બનાસકાંઠા ના રાજગરાની માંગ યુએસ, જર્મની તેમજ અરબ સહિતના 10 થી વધુ દેશોમાં છે.
ઉત્તર ગુજરાત માં મોખરાનું સ્થાન ધરાવતી ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરી એ.એન.જોષી એ જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં રાજગરાનું સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં થાય છે. બનાસકાંઠા જિલ્લામાં ત્રણ લાખ બોરીના ઉત્પાદન સામે એકમાત્ર ડીસા એપીએમસી માં જ વર્ષ દરમિયાન 1.50 આખ કરતાં વધુ બોરી ની આવક નોંધાઈ રહી છે. તેમજ ચાલુ વર્ષે ડીસા એપીએમસી ના ઇતિહાસમાં સૌથી વધુ ઐતિહાસિક આવક એટલે કે દૈનિક પાંચ હજાર કરતાં વધુ બોરીની આવક રાજગરાની થઈ રહી છે જે ખૂબ જ રેકોર્ડ બ્રેક કહી શકાય.
રાજગરા માં ઘંઉ અને સોયાબીન કરતાં વધુ પ્રોટીન; ઘઉંના દાણામાં 12 થી 14 ટકા પ્રોટીન જયારે રાજગરા ના સુક્ષ્મ દાણા માં 16 ટકા પ્રોટીન હોય છે. આમ રાજગરા માં ઘંઉ, દુધ અને સોયાબીન કરતાં અધિક પ્રોટીન હોય છે.
રાજગરા નું તેલ વિમાન સહિતના સ્પેર પાર્ટ્સ અને દવામાં ઉપયોગ; રાજગરામાં 8 ટકા તેલની માત્રા હોય છે. જે તેલ વિમાન, કોમ્પ્યુટર તેમજ સ્પેરપાર્ટસ માં ઓઈલીગ તરીકે ઉપયોગ થાય છે. આ ઉપરાંત રાજગરા નું તેલ હદય ના ઈન્જેકશન ની દવા તેમજ લોહીના કોલેસ્ટ્રોલ ઘટાડવા બેસ્ટ ઔષધિય મનાય છે.
ડીસેમ્બર – 2023 માં સૌથી વધુ 2700 રૂપિયા ભાવ હતો; રાજગરામાં છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન પ્રતિ મણ ભાવમાં ઉતાર – ચડાવ જોવા મળ્યો છે. વર્ષ 2019 માં 1307 રૂપિયા, વર્ષ 2020 માં 988 રૂપિયા, વર્ષ 2021 માં 1088 રૂપિયા, વર્ષ 2022 માં 1651 રૂપિયા અને વર્ષ 2023 માં 2065 રૂપિયા ભાવ રહ્યો હતો. જો કે, ડીસેમ્બર – 2023 માં પ્રતિ મણ રાજગરા નો ભાવ 2700 રૂપિયા નોધાયો હતો તેમ ડીસા એપીએમસી ના સેક્રેટરી એ.એન.જોષી એ જણાવ્યું હતું.