જિલ્લાની આર્થિક પાટનગરી ડુપ્લીકેટ ચીજવસ્તુઓ મામલે રાજ્યભરમાં કુખ્યાત
જન આરોગ્ય સાથે જાહેરમાં ખિલવાડ છતાં જિલ્લા ફૂડ વિભાગનું મૌન, લોકોમાં આક્રોશ
બનાસકાંઠા જિલ્લાની આર્થિક પાટનગરી ગણાતું ડીસા શહેર આજે એક અલગ જ કારણોસર સમગ્ર રાજ્યમાં કુખ્યાત બન્યું છે. ડુપ્લિકેટિંગ (નકલી ચીજવસ્તુઓ બનાવવા) મામલે ડીસાની છબી હવે “ડી” ફોર ડુપ્લિકેટ તરીકે રાજ્યભરમાં જાણીતી બની ગઈ છે. અગાઉ માત્ર અખાદ્ય ચીજવસ્તુઓમાં જ ભેળસેળ થતી હતી, પરંતુ હવે તો ભેળસેળીયા તત્ત્વોએ ખાવા-પીવાની ચીજવસ્તુઓને પણ છોડી નથી, જેના કારણે જન આરોગ્ય ગંભીર જોખમમાં મુકાયું છે.
ડીસામાં ઘી, તેલ, મરચું, હળદર, ચોખા, દૂધ, છાશ,માવો,પનીર સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં મોટા પાયે ભેળસેળ અને ડુપ્લિકેટિંગ થતું હોવાની બુમો ઉઠી રહી છે. આ ડુપ્લિકેટિંગના દૂષણમાંથી બ્રાન્ડેડ ચીજવસ્તુઓ પણ બાકાત રહી નથી. લોકો નાછૂટકે ભેળસેળવાળી અને અશુદ્ધ ચીજવસ્તુઓ ખાવા મજબૂર બન્યા છે. ડીસાના જીઆઇડીસી, ઢૂવા રોડ, રિસાલા બજાર નજીક, પાટણ હાઇવે નજીકનો કેટલોક વિસ્તાર, જૂની પોલીસ લાઇન નજીક તેમજ ડીસાની આસપાસના ગામોના ખેતરોમાં બ્રાન્ડેડ ઘીનું મોટા પાયે ડુપ્લિકેટિંગ થઈ રહ્યું છે. આ નકલી જથ્થો ડીસામાં બ્રાન્ડેડ ઘી-તેલના અધિકૃત સ્ટોર પર પણ વેચાતો હોવાની આશંકા છે. ડીસામાં આટલા મોટા પ્રમાણમાં જીવલેણ ભેળસેળ અને ડુપ્લિકેટિંગ થતું હોવા છતાં, જેની પ્રાથમિક જવાબદારી છે તેવો ફૂડ વિભાગ આ તમામ બાબતોથી જાણે ઇરાદાપૂર્વક અજાણ બની આંખ આડા કાન કરી રહ્યું છે. ફૂડ વિભાગના આ ભેદી મૌનને કારણે ભેળસેળીયા એકમોને સમગ્ર વર્ષ દરમિયાન દિવસ-રાત ધમધમવાનું મોકળું મેદાન મળી ગયું છે. પાલિકા સહિતના અન્ય તંત્રો પણ આ બાબતે ચુપકીદી સેવી રહ્યા છે.
એક વેપારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ડીસામાં બ્રાન્ડેડ એવા અમુલ અને સાગર ઘીનું પણ ખુબ મોટા પાયે ડુપ્લિકેટિંગ થાય છે અને તેનું વેચાણ ઓથોરાઇઝ્ડ સ્ટોલ ઉપર પણ થતું હોવા છતાં કોઈ જ તપાસ થતી નથી. ફૂડ વિભાગ દ્વારા ભૂતકાળમાં લેવાયેલા સેમ્પલો પણ ‘પહોંચેલા’ ભેળસેળીયા તત્ત્વો લેબ પરીક્ષણમાં પાસ કરાવી લાવતા હોવાની ચર્ચાઓએ લોકોમાં વ્યાપક રોષ જગાવ્યો છે. આમ, જવાબદાર તંત્રની ચુપકીદીના કારણે ‘વાડ જ ચીભડા ગળે’ તેવો ઘાટ ઘડાયો છે.સરવાળે જન આરોગ્ય જોખમાઇ રહ્યું છે.
ભેળસેળીયા તત્વો બેફામ
એક સમયે અંગ્રેજો દ્વારા શુદ્ધ હવા-પાણીને કારણે લશ્કરી થાણા માટે પસંદ કરાયેલું “કોપ” (આજનું ડીસા) આજે ડુપ્લિકેટ ચીજવસ્તુઓને કારણે દૂષિત થઈ ચૂક્યું છે. ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ હવે સામાન્ય બાબત બની ગઈ છે. તંત્રની કથિત હપ્તાખોરી અને કાયદાની છટકબારીઓને પગલે ભેળસેળીયા તત્વો બેફામ બન્યા છે. જનઆરોગ્ય સાથે થતા ચેડાં બંધ કરવા માટે જિલ્લા ફૂડ વિભાગ માનવીય અભિગમ દાખવી સખત કાર્યવાહી કરે તે અત્યંત આવશ્યક છે.
ડુપ્લિકેટ ચીજો પધરાવવાનું જડબેસલાક નેટવર્ક
ડીસામાં ભેળસેળવાળી ચીજવસ્તુઓ ઉપર બ્રાન્ડેડ કંપનીઓના લેબલ લગાવી જાહેરમાં વેચવામાં આવે છે. આ નકલી માલ વાહનો દ્વારા ખુલ્લેઆમ વાવ, થરાદ, રાધનપુર સહિતના ગામડાઓમાં પહોંચાડાય છે. એટલું જ નહીં, ડીસામાંથી મોડી રાત્રે રાજસ્થાન તરફ જતી લક્ઝરી બસોમાં સામાન રાખવાની જગ્યાએ આ નકલી ચીજવસ્તુઓનો જથ્થો મોટા પ્રમાણમાં રાજસ્થાન તરફ મોકલવાનું નેટવર્ક પણ લાંબા સમયથી ધમધમી રહ્યું છે.
પ્રકાશનું પર્વ દિવાળી નજીક આવતા જ ભેળસેળીયા તત્વો વધુ સક્રિય બની ગયા છે, જેઓ ખાદ્ય ચીજોમાં જીવલેણ ભેળસેળ કરી જનઆરોગ્યને જોખમમાં મૂકે છે. તેમ છતાં, ‘મેલી મથરાવટી’ ધરાવતો જિલ્લા ફૂડ વિભાગ દિવાળીના સમયમાં માત્ર દરોડાના નાટકો ભજવીને પાછળથી ભીનું સંકેલી નાખે છે. પરિણામે, આ વિષચક્ર બારે માસ ધમધમતું રહે છે.તેથી તંત્રની કામગીરી સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

