મૃતકોના પરીવારજનોમાં ઘોર નિરાશા સાથે રોષ છવાયો; બનાસકાંઠા જિલ્લાના ડીસા- ઢૂવા રોડ પર ગેરકાયદેસર ફટાકડાના ગોડાઉનમાં થયેલા ભયાનક બ્લાસ્ટની ઘટનાને આજે એક મહિના ઉપરનો સમય પૂર્ણ થયો છે. આ માનવ સર્જીત દુર્ઘટનામાં 23 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેના પગલે રાજ્ય સરકારે આઈપીએસ કક્ષાના અધિકારીઓની તાત્કાલિક વિશેષ તપાસ ટીમ (સીટ) ની રચના કરી હતી. જે સીટને આ બ્લાસ્ટ કાંડમાં તપાસ કરી 30 દિવસમાં પોતાનો તપાસ રિપોર્ટ સરકારને સુપરત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
જો કે, દુઃખની વાત એ છે કે ઘટનાને એક મહિના ઉપરાંતનો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી સીટ દ્વારા કોઈ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી. મૃતકોના પરિજનો અને સ્થાનિક લોકોમાં આ બાબતે ભારે નિરાશા અને રોષ જોવા મળી રહ્યો છે. તેઓ સવાલ કરી રહ્યા છે કે આટલો સમય વીતવા છતાં તપાસ ક્યાં સુધી પહોંચી છે અને જવાબદારો સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે??
આ ગંભીર ઘટનાએ વહીવટી તંત્રની કાર્યશૈલી પર પણ આમ પ્રજામાં અનેક સવાલો ઉભા થયા છે.કે ગેરકાયદેસર રીતે ચાલતા ફટાકડાના ગોડાઉન અંગે સ્થાનિક તંત્ર કેમ અજાણ હતું? શું ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવશે? હાલમાં તો મૃતકોના પરિજનો ન્યાયની રાહ જોઈ રહ્યા છે, જ્યારે સીટના રિપોર્ટની વિલંબિત પ્રક્રિયા અનેક તર્ક-વિતર્કોને જન્મ આપી રહી છે. ત્યારે સરકાર દ્વારા આ મામલે તાત્કાલિક ધ્યાન આપવામાં આવે અને સીટનો રિપોર્ટ સત્વરે જાહેર કરવામાં આવે તે જરૂરી છે, જેથી પીડિત પરિવારોને થોડી રાહત મળી શકે.