થરાદ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં મોતનો સિલસિલો યથાવત છે. આ કેનાલમાંથી ફરી મૃતદેહ મળી આવ્યા છે. આ વખતે બે યુવતીના મૃતદેહ મળ્યા છે. મહાજનપુરા પંપીંગ સ્ટેશન માંથી બે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. અજાણી બે યુવતીના મૃતદેહ મળતા આસપાસના વિસ્તારોમાં ચર્ચાનો દૌર શરુ થયો છે. આ મામલે પોલીસે તપાસ તેજ કરી છે. અને ઘટનાનું કારણ જાણવા માટે સ્થાનિકો સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે.
મૃતક યુવતીઓમાં વાવ તાલુકાના ખીમાણાવાસની 23 વર્ષીય રેખાબેન માજીરાણા અને ડીસાની 18 વર્ષીય આરતીબેન ઠાકોર છે. બંને યુવતીઓ અપરણિત હતી. ફાયર ઓફિસર વિરમજી રાઠોડની ટીમે બંને મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢ્યા હતા. બંને યુવતીઓના પરિવારજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડે મૃતદેહોને થરાદ પોલીસ અને પરિવારજનોને સોંપ્યા છે.

