ઊર્જા મંત્રીએ કોંગ્રેસને સણસણતો જવાબ આપ્યો
ધારાસભ્યના આરોપોને પાયા વિહોણા ગણાવ્યા
દાંતા વિધાનસભાના કેટલાક ગામોમાં વીજળી ન મળતી હોવાના કોંગ્રેસના આક્ષેપોને લઈ વિધાનસભામાં ચર્ચા ગરમાઈ હતી. આ મુદ્દે ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસના ધારાસભ્ય કાન્તીભાઈ ખરાડીના આરોપોને પાયાવિહોણા ગણાવી સણસણતો જવાબ આપ્યો હતો.
મંત્રીએ ગૃહમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના છેવાડાના ગામ અને ઘર સુધી ૨૪×૭ વીજળી પહોંચે તે માટે ઊર્જા વિભાગ દ્વારા સુચારુ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના કપાસિયા, ખારી અને ઝાંબા તેમજ હડાદ તાલુકાના રાણપુર-બંગલા અને મહુડા ગામોમાં વર્ષોથી પૂરતા વોલ્ટેજ સાથે સતત વીજળી ઉપલબ્ધ છે. મંત્રીએ જણાવ્યું હતું કે, આ પાંચ ગામોના કુલ ૧,૭૮૮ ગ્રાહકોને હાલમાં સતત વીજ પુરવઠો મળી રહ્યો છે. કપાસિયા ગામમાં વર્ષ ૧૯૮૮ થી વીજળી ઉપલબ્ધ છે. અને ૮૧૬ ગ્રાહકો તેનો લાભ લઈ રહ્યા છે. ખારી ગામમાં વર્ષ ૧૯૯૩થી ૩૭૪ ગ્રાહકોને વીજળી મળે છે, જ્યારે ઝાંબા ગામમાં વર્ષ ૨૦૦૭થી ૪૮ ગ્રાહકોને વીજળી પહોંચાડવામાં આવી છે.
આ ઉપરાંત રાણપુર-બંગલા ગામમાં વર્ષ ૨૦૦૦થી ૪૧૨ ગ્રાહકોને અને મહુડા ગામમાં વર્ષ ૨૦૦૯ થી ૧૩૮ ગ્રાહકોને વીજળી ઉપલબ્ધ છે. આ ગામોમાં જ્યોતિગ્રામ ફીડર દ્વારા પૂરતા વોલ્ટેજ સાથે સતત વીજ પુરવઠો આપવામાં આવે છે.ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને ખેતર સુધી વીજળી મળી રહે તે માટે ટ્રાન્સફોર્મર ઉભા કરવામાં આવ્યા છે. ક્યાંય ટેક્નિકલ ખામી સર્જાય અથવા ફરિયાદ મળે તો તાત્કાલિક ઉકેલ લાવી વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવે છે. મંત્રીએ અંતમાં જણાવ્યું હતું કે, છેવાડાના માનવી સુધી તમામ સુવિધાઓ પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને આ પરિસ્થિતિમાં ધારાસભ્ય કાન્તીભાઈ ખરાડી દ્વારા વિધાનસભામાં કરવામાં આવેલા આક્ષેપો ખોટા અને પાયાવિહોણા છે.

