સરકારી વકીલની દલીલોને સેસન્સ કોર્ટના જજે માન્ય રાખી જામીન રદ્દ કયૉ; પાટણના ઝવેરી બજારમાં આવેલી ગૌરી જવેલર્સમાંથી સોનાની વીંટીઓની ચોરીના કેસમાં ઝડપાયેલા ચાર આરોપીઓના જામીન કોટૅ દ્રારા નામંજુર કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે. આ ચોરી ના કેસમાં નવો વળાંક આવ્યો છે જેમાં રૂ. ૩.૨૪ લાખની કિંમતની ૧૮ થી ૨૦ વીંટીઓની ચોરી કરનારી કર્ણાટકની ઇરાની ગેંગના ચાર શખ્સો અફ્રિદી શેરૂબેગ ઇજ્જત અલી બેગ, જાવેદઅલી ઓમુસાઅલી શેખ, અલીબાગવાન મૌલાની અને નવાબઅલી મનસુરઅલી સૈયદને રાણીની વાવ પાસેથી ઝડપી લીધા હતા. તેમની પાસેથી કાર, બાઇક અને ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
જે ચારેય આરોપીઓએ મુકેલ જામીન અરજી સેસન્સ જજ પ્રશાંત શેઠે સરકારી વકીલ શૈલેષ ઠક્કરની દલીલો ગ્રાહ્ય રાખી નોંધ્યું કે આરોપીઓ કર્ણાટક રાજ્યના હોવાથી તેમને જામીન પર છોડવામાં આવે તો તેઓ પુરાવા સાથે ચેડાં કરી શકે છે અને નાસી જવાની શક્યતા પણ નકારી શકાતી નથી. આરોપીઓએ કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે તેઓ માત્ર વાહન ચલાવવા માટે જ આવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ, મુખ્ય બે આરોપીઓએ ચોરી કરીને તેમને ખોટી રીતે ફસાવી દીધા છે. જોકે, કોર્ટે આ દલીલ સ્વીકારી નહોતી. હાલ તપાસ નાજુક તબક્કામાં હોવાથી કોર્ટે તમામ આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હોવાનું જાણવા મળ્યું છે.

