ભેદી હિલચાલ જણાય તો કંટ્રોલ રૂમને જાણ કરવા અનુરોધ; ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ભરી સ્થતિ સર્જાતા બનાસકાંઠા માં આવેલ ભારત-પાકિસ્તાની નડાબેટ બોર્ડરના સુઇગામ અને વાવના ગામોને એલર્ટ કરાયા છે. તંત્ર અને પોલીસ દ્વારા સુઇગામ ના ગામોમાં પેટ્રોલીંગ વધારાયું છે. ગામડાઓના લોકોને સાવચેત રહેવાની અપીલ કરાઈ રહી છે. ત્યારે આપતકાલિન સ્થતિને પહોંચી વળવા બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુરની કલેકટર કચેરીમાં જિલ્લાનો કંટ્રોલરૂમ શરૂ કરાયો છે.
આ કન્ટ્રોલ રૂમમાં એક મામલતદાર સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ અને કર્મચારીઓ 24 કલાક ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. જિલ્લાના કંટ્રોલરૂમમાં સ્ટેટ મોનીટરીંગ ટિમ અને રાજ્ય સરકાર સાથે સંપર્ક કરવા માટે એક હોટલાઈન, સેટેલાઇટ ફોન તેમજ લેન્ડ લાઇન ફોનનો ઉપયોગ કરાઈ રહ્યો છે. કોઈપણ પરિસ્થિતિ વચ્ચે લોકો અને અધિકારીઓ અને તંત્ર સુધી માહિતી પહોંચાડવા માટેની તમામ જરૂરી વ્યવસ્થાઓ કંટ્રોલ રૂમમાં ઉભી કરાઈ છે. આ કંટ્રોલરૂમ થકી બોર્ડર ઉપર થતી તમામ ગતિવિધિઓની પળેપળની માહિતી મેળવાઈ રહી છે. તો જિલ્લાના તમામ તાલુકા મથકો અને અન્ય વિભાગો સાથે સંપર્ક સાધીને જરૂરી નિર્દેશો અપાઈ રહ્યા છે. ત્યારે સરકારની સુચના ઓનું પાલન કરવાની સાથે કોઈ ભેદી હિલચાલ જણાય તો તાલુકા અથવા તો જિલ્લા કંટ્રોલ રૂમને જાણ કરવા કંટ્રોલ રૂમના ઇન્ચાર્જ મામલતદાર અજિતસિંહ ચૌહાણે અનુરોધ કર્યો હતો.