પાટણ જિલ્લા સેવા સદન ખાતે કલેકટર તુષાર ભટ્ટના અધ્યક્ષ સ્થાને બુધવારે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન જિલ્લામાંથી ઉપસ્થિત રહેલા અરજદારોની વિવિધ પ્રકારની સમસ્યાઓ – રજૂઆતોને સાંભળી તેના સાચા અર્થમાં નિરાકરણ લાવવા ઉપસ્થિત અધિકારીઓને કલેકટર દ્વારા ટકોર કરવામાં આવી હતી.
આ સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા લર્નિંગ લાઇસન્સ એપ્રુવલ ન આપવા બાબત, પી.એમ. વિશ્વકર્મા યોજના હેઠળ ટૂલકિટ ન મળવા બાબત, વરાણા ગામે સ્પીડ બ્રેકર મૂકવા અંગે, નવીન બસ રૂટ શરૂ કરવા બાબત, બિન અધિકૃત દબાણો દૂર કરવા બાબત,આર.સી.સી.રોડ બનાવવા બાબત, ફાર્મર રજિસ્ટ્રીની અરજીને એપ્રુવલ આપવા બાબત,જ્યોતિગ્રામ યોજના હેઠળ વીજ જોડાણ આપવા બાબત, પીવાના પાણીની સમસ્યા તેમજ ઉંટવાડા દૂધ ઉત્પાદક સેવા સહકારી મંડળી લી.માં થયેલા ભ્રષ્ટાચારની તપાસ બાબત સહિતના વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆતો કરવામાં આવી હતી.
કલેકટર તુષાર ભટ્ટે તમામ અરજીઓનો હકારાત્મક અભિગમ સાથે તાત્કાલિક અને અસરકારક રીતે નિકાલ લાવવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. સાથે જ, અરજદારોના પ્રશ્નોનું સાચા અર્થમાં નિરાકરણ આવે તે માટે ગંભીરતા અને સંવેદનશીલતા સાથે કાર્યવાહી કરવા તાકીદ કરી હતી.આ સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલ,તમામ પ્રાંત અધિકારીઓ,ચીફ ઓફિસરો તથા જિલ્લાના ઉચ્ચ સ્તરના અધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

