સફાઈ કામદારોની સેવા નિષ્ઠાને વંદન કરું છું: જિલ્લા કલેકટર મિહિર પટેલ
ભાદરવી પૂનમના મહામેળામાં સ્વચ્છતાની જવાબદારી નિભાવતા સફાઈ યોદ્ધાઓનું આજે જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલ દ્વારા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. મેળા દરમિયાન ૧૫૦૦ જેટલા સફાઈ કર્મીઓ – સફાઈ યોદ્ધાઓ મેળામાં સફાઈની ફરજ નિભાવી રહ્યા છે. આ પ્રસંગે કલેકટર મિહિર પટેલે સફાઈ કામદારોની સેવાભાવના અને નિષ્ઠાને બિરદાવી તેમને પ્રસાદ અને પ્રમાણપત્ર આપી સન્માન કર્યું હતું. તેમજ સફાઈ કામદારો માટે મંદિરમાં દર્શનની વિશેષ વ્યસ્થા અને સાંજની આરતી સફાઈ કામદારોને હાથે કરાવી હતી.
ભાદરવી પૂનમના મહામેળામાં સ્વચ્છતા અંગે વહીવટીતંત્ર દ્વારા વિશેષ કાળજી રાખી મેળા દરમિયાન ક્યાંય ગંદકી કે કચરાના ઢગ જોવા ન મળે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવેની સીધી દેખરેખ હેઠળ સ્વચ્છતા સમિતિ દ્વારા સફાઈની કામગીરી મેળામાં કરવામાં આવી રહી છે.
જિલ્લા વિકાસ અધિકારી અને સ્વચ્છતા સમિતિના અધ્યક્ષ એમ.જે.દવે એ જણાવ્યું કે અંબાજી મેળામાં સ્વચ્છતા સમિતિ હેઠળ પાંચ અલગ અલગ ઝોનમાં અંબાજીને વિભાજીત કરી સફાઈની કામગીરી કરવામાં આવી હતી. અંબાજીને જોડતા રસ્તાઓ પર આવેલ ગ્રામ પંચાયતો દ્વારા પણ સ્વચ્છતા અંગે ખાસ તકેદારી રાખી કામગીરી કરવામાં આવી છે. ૮૫ થી ૯૦ ટેકટર, અંબાજી પરિસર માં ૧૪૫૦ થી ૧૫૦૦ જેટલા સફાઈ કર્મીઓ અને તાલુકા વિકાસ અધિકારી અને ચીફ ઑફિસર તથા સ્ટાફ દ્વારા સુપર વિઝન કરવામાં આવ્યું.
સફાઈ કામદારોએ પણ મા અંબાના ધામને સુંદર અને રળિયામણું બનાવવા તનમનથી સ્વછતા ની ફરજ બજાવી રહ્યા હોવાનું જણાવ્યું હતું અને જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો.


