ટ્રાફીક પોઇન્ટ સામે ઈકો ચાલકો બેરોકટોક વગર મુસાફરો ભરે છે
પાલનપુર શહેરમાં ટ્રાફિકની સમસ્યા નગરજનો માટે માથાનો દુઃખાવો બની છે. શહેરનો હાઈવે વિસ્તાર હોય કે શહેરનો અંદરનો વિસ્તાર દરેક જગ્યાએ ટ્રાફિકને લઈને વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે. પરંતુ સરકારી તંત્ર કોઈ નક્કર કાર્યવાહી ના કરતું હોવાની ફરિયાદો ઉઠી છે.
પાલનપુર શહેરમાં ખખડધજ રોડનું નગરપાલિકા દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં વડલીવાળા પરાંનો માર્ગ બંધ થતાં ત્યાંથી પસાર થતા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. વાહન ચાલકો ટૂંકો રસ્તો શોધીને પસાર થતા સાંકડી ગલીઓમાં ટ્રાફિકના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કંથેરીયા હનુમાન રોડ હજી અઠવાડિયા કરતા વધુ સમય બંધ રહેવાની સંભાવના છે. જેને લઈને શહેરમાં ટ્રાફિકનું ભારણ વધશે. ટ્રાફિકની સમસ્યા માટે શહેરની ટ્રાફિક પોલીસ પણ જવાબદાર બની છે. શહેરના મુખ્ય માર્ગ પર સંજયચોક નજીક ઈકો સ્ટેન્ડ પર મનફાવે તેમ ચાલકો દ્વારા મુસાફરો ભરતા હોવાથી ચારરસ્તા પર ટ્રાફિક સર્જાઈ રહ્યો છે. વળી ટ્રાફિક પોલીસ પોઇન્ટ સામે હોઈ ત્યાં ઊભેલ ટ્રાફિક જવાનો પોતાની મસ્તીમાં મસ્ત હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું ચર્ચી છે. ત્યારે પાલનપુરમાં શહેરમાં ટ્રાફિક માટે જવાબદાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી મનફાવે તેમ જાહેરમાં પાર્કિંગ કરતા વાહનો સામે પોલીસ કડકાઈનું વલણ અપનાવે તે જરૂરી બન્યું છે.
ગુજરાત રાજ્યના અતિ વ્યસ્ત સર્કલમાંના એક એરોમા સર્કલ પર આર એન્ડ બી દ્વારા ટ્રાફિકનું ભારણ ઓછું કરવા માટે અંદાજિત આઠ કરોડના ખર્ચે રોડ પહોળા કરી લેફ્ટ હેન્ડ કોરિડોર બનાવવામાં આવ્યો હતો. એરોમા સર્કલ હટાવી ત્યાં પીપડા મૂકવામાં આવ્યા છે. ત્યારે લેફ્ટ હેન્ડ કોરિડોર માટે બનાવેલ પાળીના લીધે એરોમા સર્કલ આસપાસ અડધા ભાગનો રોડ બિનઉપયોગી બનતા રોડ પર બનેલ પાળીઓ તોડી રોડને પહોળા કરવામાં આવે તેવી નગરજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.



