ગુડ સમરીટન પુરસ્કાર યોજના, જીવ બચાવનારનું કરાશે સન્માન; બનાસકાંઠા જિલ્લામાં વધુમાં વધુ લોકો “ગુડ સમરીટન” બનીને રોડ અકસ્માતમાં અન્યના જીવ બચાવવામાં આગળ આવે અને માનવતાની ભાવનાને વરતાવે, ભારત સરકાર દ્વારા માર્ગ અકસ્માતના કિસ્સાઓમાં ઘવાયેલા વ્યક્તિઓને તાત્કાલિક સારવાર પ્રાપ્ત થાય અને વધુમાં વધુ લોકો માનવતા દાખવી મદદરૂપ બને તે હેતુથી “Scheme for Grant of Award to the Good Samaritan” યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાના હેતુ માર્ગ અકસ્માત દરમિયાન ઘવાયેલા વ્યક્તિને તાત્કાલિક મદદ કરવા માટે આગળ આવનારી વ્યક્તિને રૂ. 5000/- ની રોકડ પુરસ્કાર રકમ DBT દ્વારા આપવામાં આવે છે તેમજ પ્રશંસાપત્ર પણ આપવામાં આવે છે.
આ યોજનાના મહત્ત્વને ધ્યાનમાં લઈ બનાસકાંઠા જિલ્લામાં દરેક પોલીસ મથક, સરકારી દવાખાના, બસ સ્ટેન્ડ, મામલતદાર કચેરી, આર.ટી.ઓ., નગરપાલિકા, તાલુકા પંચાયત, તેમજ શાળા-કોલેજો દ્વારા યોજના અંગેનું જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે. માર્ગ અકસ્માત બાદ મદદરૂપ થયેલા વ્યક્તિને એક અઠવાડિયામાં એવોર્ડ તથા પ્રશંસાપત્ર આપવામાં આવશે. જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ દ્વારા જાહેર મંચ પરથી તાત્કાલિક સન્માન કરવામાં આવશે.
ગણતંત્ર દિવસ – 26 જાન્યુઆરી, સ્વતંત્રતા દિવસ – 15 ઓગસ્ટ તથા ગુજરાત સ્થાપના દિવસ જેવા રાષ્ટ્રીય તહેવારો દરમ્યાન પણ ‘ગુડ સમરીટન’નું જાહેરમાં સન્માન કરવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ યોજનાની કામગીરી રાજ્ય સ્તરે CM ડેશબોર્ડ પણ નિરીક્ષણ હેઠળ રહેશે અને દરેક જિલ્લાના માહિતી દર માસે પાંચમી તારીખ સુધી મોકલવાની રહેશે. બનાસકાંઠા જિલ્લામાં વધુમાં વધુ લોકો “ગુડ સમરીટન” બનીને રોડ અકસ્માતમાં અન્યના જીવ બચાવવામાં આગળ આવે અને માનવતાની ભાવનાને વરતાવે તે માટે સહયોગી બને તેવી અપીલ કરવામાં આવે છે.

