સિદ્ધપુર થી ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની ત્રણ નવી બસોનું રાજયના કેબિનેટ મંત્રી બલવંતસિહ રાજપુત ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ નવીન બસો સિદ્ધપુરથી માતાનોમઢ, ભુજ અને સંતરામપુર સુધીના પહેલાંથી ચાલી રહેલા રૂટ પર સેવા આપશે. નવી અને આધુનિક બસોના કારણે મુસાફરોને વધુ આરામ દાયક અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ મળશે. આ સેવાનો લાભ ખાસ કરીને રોજિંદા ધંધા-રોજગાર, અભ્યાસ કે દર્શનાર્થે જતા મુસાફરોને થશે.
આ નવી બસો લોકો માટે સમય બચાવનારી અને ભરોસાપાત્ર સેવા આપનાર બનશે સાથે સાથે ગામડાં અને નાનાં શહેરોના લોકોને મોટા શહેરો સાથે જોડતી આ સેવા પ્રવાસીઓ માટે પણ ફાયદો કરશે અને શ્રદ્ધાળુઓ તથા વેપારીઓ માટે પણ વધુ સરળતા લાવશે. તો માતાનોમઢ જેવા ધાર્મિક સ્થળો સુધી પહોંચવા હવે શ્રધ્ધાળુ ઓને સરળતા રહેશે. ભુજ જેવા પ્રવાસન કેન્દ્રો અને સંતરામપુર જેવા વ્યાવસાયિક સ્થળો સુધી હવે વધુ સજ્જ બસોમાં મુસાફરી કરી શકાશે.
આ લોકાર્પણ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, રાધનપુર ના ધારાસભ્ય લવિંગજી ઠાકોર,પ્રદેશ ભાજપ અગ્રણી નંદાજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર સહિત રાજકીય,સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


