ભારતમાંથી 185 દેશોમાં 225 પ્રકારના મરી-મસાલાની નિકાસ થઇ રહી છે
કોરોના કાળમાં મોટાભાગની નિકાસ પર માઠી અસર થઈ છે. ત્યારે બીજી બાજુ તેજાંનામ મામલે પરિસ્થિતિ વિપરિત છે. ઈમ્યુનિટી વધારતા તેજાંનાની માગ વિશ્વભરમાં વધી રહી છે. પરિણામે દેશમાંથી પ્રથમ વખત તેજાંનાની નિકાસ 3 અબજ ડોલરની સપાટી ક્રોસ કરી ગઈ છે.
કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયના આધિન સ્પાઈસસિઝ બોર્ડ દ્વારા પ્રાપ્ત આંકડાઓ અનુસાર, ભારતમાંથી વિશ્વના 185 દેશોમાં 225 પ્રકારના તેજાંનાની નિકાસ થઈ રહી છે. ગત નાણા વર્ષથી માંડી આ વર્ષના જુલાઈ સુધી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેજાંનાની માગમાં મોટાપાયે ઉછાળો નોંધાયો છે. સૌથી વધુ માગ આદુની રહી છે. ગતવર્ષ સામે આ વર્ષે આદુની નિકાસ 178 ટકા વધી છે. સ્પાઈસિઝ બોર્ડના સેક્રેટરી પી. સાથિયાન અનુસાર, કોરોના કાળમાં ઈમ્યુનિટી વધારતાં તેજાના જેમ કે, હળદર, ધાણા, જીરાની નિકાસ પડકારો વચ્ચે ગતવર્ષની તુલનાએ સતત વધી રહી છે.
મરચાં, હળદર, ફુદીના પ્રોડક્ટ્સ, જીરા, તેજાના બીજ, મસાલા પાવડરની નિકાસમાં જબરદસ્ત ઉછાળો નોંધાઈ રહ્યો છે. એપ્રિલથી જુલાઈ 2020 દરમિયાન તેજાનાની નિકાસ 10 ટકા વધી છે. એપ્રિલથી જુલાઈમાં 4,33,000 ટન (રૂ. 7760 કરોડ)ની નિકાસ થઈ છે. જ્યારે 2019માં આ સમયગાળા દરમિયાન 3,92,265 ટન (રૂ. 7028.31 કરોડ)ની નિકાસ થઈ હતી. આગામી સમયમાં આ ટ્રેન્ડ જળવાઈ રહેશે.
ગત નાણાકીય વર્ષમાં તેજાનાની નિકાસ અત્યાર સુધીના ટોચે છે. ગત નાણા વર્ષમાં 3 અબજ ડોલર તેજાનાની નિકાસ થઈ હતી. ભારતમાં કોરોના એપ્રિલથી સતત વધી રહ્યો છે. પરંતુ વિશ્વના અનેક દેશોમાં ગત ડિસેમ્બરથી ફેલાયો હતો. જેનો લાભ તેજાનાની નિકાસને મળ્યો હતો. આગામી સમયમાં નિકાસમાં વધુ વૃદ્ધિની શક્યતા રહેલી છે. જીરૂની નિકાસમાં ગુજરાત ટોચનું સ્થાન ધરાવે છે.