વાહન ઉદ્યોગ ‘લોક’, વેપાર ‘ડાઉન’ રોજ 2300 કરોડનું નુકસાન, લાખો નોકરી જવાનો ખતરો
286 દિગ્ગજ ડિલરોની દુકાનને લાગી ગયા તાળા
સંસદની એક સમિતિએ કહ્યું છે કે કોવિડ-19 મહામારી અને તેને અટકાવવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉનથી વાહન ઉદ્યોગને પ્રતિદિવસ 2300 કરોડ રૂપિયાનું નુક્સાન ગયું છે અને આ ક્ષેત્રમાં અંદાજે 3.45 લાખ કરોડ લોકોની નોકરીઓ જવાનો ખતરો છે. સમિતિએ પોતાનો રિપોર્ટ રાજ્યસભાના સભાપતિ એમ.વેંકૈયા નાયડુને સોંપ્યો હતો. તેલંગણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ) સાંસદ કેશવ રાવના વડપણ હેઠળની વાણિજ્ય પર સંસદની સ્થાયી સમિિએ વાહન ક્ષેત્રમાં રોકાણને આકર્ષિત કરવા માટે અમુક ઉપાયો સુચવ્યા છે જેમાં હાલના જમીન અને શ્રમ કાયદાના ફેરફાર પણ સમાવિષ્ટ છે.
સમિતિએ પોતાના રિપોર્ટમાં કહ્યું છષ કે વાહન ઉદ્યોગના સંગઠનોના જણાવ્યા પ્રમાણે તમામ મુખ્ય સ્પેરપાર્ટસ, ઉપકરણ વિનિર્માતાઓ (ઓઈએમ)એ ઓછું ઉત્પાદન અને વાહનોનું વેચાણ ઓછું થવાને કારણે ઉત્પાદનમાં 18થી 20 ટકાનો ઘટાડો નોંધાયો છે. જેના કારણે વાહન ક્ષેત્રમાં રોજગારની સ્થિતિ પર પ્રતિકૂળ પ્રભાવ પડ્યો છે અને ક્ષેત્રમાં અંદાજે 3.45 લાખ રોજગારના નુકસાનનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
અહેવાલો અનુસાર વાહન ઉદ્યોગ ક્ષેત્રમાં નવી નોકરી લગભગ આપવાનું બંધ જ કરી દેવાયું છે. આ ઉપરાંત 286 વાહન ડિલરોની દુકાનો બંધ થઈ જવા પામી છે. ઉત્પાદનમાં કાપની સ્પેરપાર્ટસ બનાવતાં ઉદ્યોગો ઉપર પણ માઠી અસર જોવા મળી છે જેમાં સૌથી વધુ અસર એ સૂક્ષ્મ-લઘુ-મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ) ઉપર પડી છે જે વાહનના ઉપકરણ બનાવવાનું કામ કરી રહ્યા હતા. સમિતિએ કહ્યું કે વાહન ઉદ્યોગ સંગઠનોએ આપેલી માહિતી અનુસાર કોવિડ-19 મહામારી અને તેને અટકાવવા માટે લગાવાયેલા લોકડાઉનથી વાહનોનું ઉત્પાદન થંભી ગયું હતું અને તેના કારણે આ ક્ષેત્રને દરરોજ 2300 કરોડનું નુકસાન ગયું છે.
સંસદની સમિતિએ એવું પણ કહ્યું કે વાસ્તવિક પ્રભાવ એ વાત પર નિર્ભર કરે છે કે લોકડાઉનની મર્યાદા ક્યાં સુધી રહે છષ અને કોવિડ-19 સંકટની સ્થિતિ કેવી રહે છે. અહેવાલો અનુસાર સંકટને ધ્યાનમાં રાખી એવી આશંકા પણ સેવાઈ રહી છે કે વાહન ઉદ્યોગમાં ઓછામાં ઓછા બે વર્ષ સુધી મોટો ઘટાડો નોંધાઈ શકે છે.