40 લાખ લોકોને મળશે રોજગાર, કેન્દ્ર સરકારે ઉઠાવ્યું મહત્વનું પગલું
પ્રાઇમ મિનિસ્ટર એમ્પલોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ (PMEGP)ને વર્ષ 2025-26 સુધી લંબાવવામાં આવ્યો છે. તેના પર કુલ 13,554.42 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. સરકારે સોમવારે આ જાણકારી આપી હતી. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય (MSME)એ કહ્યું કે આ યોજના 5 નાણાકીય વર્ષમાં 40 લાખ લોકો માટે ટકાઉ રોજગારીની તકો ઊભી કરશે.
ઉત્પાદન એકમો માટે મહત્તમ પ્રોજેક્ટ ખર્ચ રૂ. 50 લાખ કરાયો
આ યોજના 15મા નાણાં પંચના સમયગાળા માટે એટલે કે 2021-22થી 2025-26 સુધીના 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે. PMEGPનો ધ્યેય બિન-ખેતી ક્ષેત્રોમાં સૂક્ષ્મ સાહસો સ્થાપીને દેશભરના યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવાનો છે. આ યોજનાની સમય મર્યાદા વધારવાની સાથે તેમાં કેટલાક વધુ સુધારા પણ કરવામાં આવ્યા છે. આ હેઠળ, ઉત્પાદન એકમો માટે મહત્તમ પ્રોજેક્ટ ખર્ચ વર્તમાન રૂ. 25 લાખથી વધારીને રૂ. 50 લાખ કરવામાં આવ્યો છે. તો સેવા એકમો માટે તેને 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવ્યો છે.
ટ્રાન્સજેન્ડર’ અરજદારોને વિશેષ શ્રેણીમાં મૂકવામાં આવશે
પીએમઈજીપીમાં ગ્રામોદ્યોગ અને ગ્રામીણ વિસ્તારોની વ્યાખ્યાઓ પણ બદલવામાં આવી છે. પંચાયતી રાજ સંસ્થાઓ હેઠળ આવતા વિસ્તારોને ગ્રામ્ય વિસ્તાર ગણવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ આવતા વિસ્તારોને શહેરી વિસ્તાર તરીકે ગણવામાં આવશે. તમામ અમલીકરણ એજન્સીઓને અરજીઓ પ્રાપ્ત કરવા અને પ્રક્રિયા કરવાની મંજૂરી આપવામાં આવશે, પછી ભલે તે અરજી ગ્રામીણ વિસ્તારની હોય કે શહેરી વિસ્તારની હોય. મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને ‘ટ્રાન્સજેન્ડર’ અરજદારોને વિશેષ શ્રેણીમાં મૂકવામાં આવશે અને તેઓ વધુ સબસિડી મેળવવા માટે પાત્ર બનશે.