કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર, DAમાં મળશે 15% વધારાનો લાભ
દિવાળીના અવસર પર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી હતી. સાતમા પગારપંચ હેઠળ સરકારે કર્મચારીઓનો ડીએ 4 ટકા વધારીને 46 ટકા કર્યો હતો. છઠ્ઠા અને પાંચમા પગાર પંચ મુજબ પગાર મેળવનારા કર્મચારીઓ માટે હવે મોટા સમાચાર આવી રહ્યા છે. સરકારે આ કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં પણ વધારો કર્યો છે.
ડીએમાં કેટલો વધારો?
છઠ્ઠા પગાર પંચ હેઠળ આવરી લેવામાં આવતા કેન્દ્રીય જાહેર ક્ષેત્રના સાહસો (CPSEs) ના કર્મચારીઓ માટે મૂળભૂત પગાર પર DA વર્તમાન 221% થી વધારીને 230% કરવામાં આવ્યો છે. એટલે કે આ વખતે તેમાં 9 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાનો બદલાયેલ દર 1 જુલાઈ, 2023થી અમલી બનશે. સરકાર દ્વારા પાંચમા પગાર પંચ હેઠળ આવરી લેવામાં આવતા કર્મચારીઓના ડીએમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ કર્મચારીઓના ડીએમાં બે કેટેગરી પ્રમાણે વધારો કરવામાં આવ્યો છે.
આવા કર્મચારીઓ જેમને મૂળ પગાર સાથે 50 ટકા ડીએ મર્જ કરવાનો લાભ આપવામાં આવ્યો નથી. આવા કર્મચારીઓનું હાલનું 462% DA વધારીને 477% કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, જે કર્મચારીઓને 50% DA ને મૂળ પગાર સાથે મર્જ કરવાનો લાભ આપવામાં આવ્યો છે તેમના માટે ડીએનો વર્તમાન દર 412% થી વધારીને 427% કરવામાં આવ્યો છે. આ રીતે બંને કેટેગરીના કર્મચારીઓને 15 ટકા ડીએ વધારાનો લાભ મળી રહ્યો છે.
સાતમા પગાર પંચ હેઠળ ઓક્ટોબર મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. તે સમયે કર્મચારીઓનું ડીએ 42 ટકા હતું, જે સરકારે વધારીને 46 ટકા કર્યું છે. નવો દર 1 જુલાઈથી લાગુ કરવામાં આવ્યો હતો. સરકારના આ નિર્ણયથી 49 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને ફાયદો થયો છે.