ગૌતમ અદાણી આપી શકે છે મુકેશ અંબાણીને ટક્કર, ગેસ સેક્ટરમાં કરશે 20,000 કરોડનું રોકાણ
ગૌતમ અદાણી હવે મુકેશ અંબાણીને મોટી ટક્કર આપી શકે છે. કારણ કે અદાણી ગ્રુપે મુકેશ અંબાણીને ટક્કર આપવા માટે ગેસ સેક્ટરમાં 20,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો નિર્ણય લીધો છે. અદાણી ટોટલ ગેસ લિમિટેડ (ATGL) આગામી 10 વર્ષમાં 18,000 કરોડથી 20,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
દેશના 124 જિલ્લામાં વાહનો માટે સીએનજીનું વેચાણ કરવા ઉપરાંત, કંપની પાઈપથી ઘરેલું રસોઈ ગેસ પણ સપ્લાય કરે છે. દેશમાં તેના 460 સીએનજી સ્ટેશન છે અને પાઈપવાળા રસોઈ ગેસના લગભગ સાત લાખ ગ્રાહકો છે. નવા વાર્ષિક અહેવાલ મુજબ, કંપનીએ નાણાકીય વર્ષ 2022-23માં વધારાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ પર રૂ. 1,150 કરોડથી વધુનું રોકાણ કર્યું છે.
કંપનીના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO) પરાગ પરીખ કહે છે કે લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યમાં અમે ગેસ બિઝનેસની સંભાવનાઓ વિશે આશાવાદી છીએ. કંપની ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા અને નેટવર્કના વિસ્તરણમાં વધુ રોકાણ કરવાનું વિચારી રહી છે. કંપની તેના સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે આગામી 8 થી 10 વર્ષમાં આશરે રૂ. 18,000-20,000 કરોડનું રોકાણ કરવા માંગે છે. તે ગ્રાહક આધારને વિસ્તૃત કરતી વખતે આવકમાં વૃદ્ધિને પણ ટકાવી રાખશે.
ATGLના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) સુરેશ પી મંગલાનીએ જણાવ્યું હતું કે કંપનીની વ્યૂહરચના સ્ટીલની પાઈપલાઈન નાખવાની પ્રક્રિયાને વેગ આપવા અને તેના લાઇસન્સવાળા વિસ્તારોમાં CNG સ્ટેશન વધારવાની છે. કંપની આગામી સાતથી 10 વર્ષમાં દેશભરમાં 1,800થી વધુ CNG સ્ટેશન બનાવવા જઈ રહી છે. જેથી કરીને મહત્તમ ગ્રાહકોને CNG ગેસ ઉપલબ્ધ કરાવી શકાય.