દેશમાં 11.5 લાખ કરોડના મોબાઈલ બનશે, 12 લાખને રોજગારી મળશે, લૉકડાઉન પછી 1.8 કરોડ મોબાઈલ ફોન વેચાયા
કોરોના સંકટના કારણે સર્જાયેલા આર્થિક પડકારો વચ્ચે રોજગાર ક્ષેત્રે સારા સમાચાર આવ્યા છે. 22 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કંપનીઓએ આગામી પાંચ વર્ષમાં દેશમાં આશરે રૂ. 11.5 લાખ કરોડના મોબાઈલ ફોન બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. બીજી તરફ લૉકડાઉન પછી દેશમાં 1.8 કરોડ મોબાઈલ ફોન વેચાયા. જેથી દેશમાં સ્માર્ટફોન યુઝર્સ 50 કરોડને પાર થઈ ગયા છે.
કેન્દ્રિય ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી રવિશંકર પ્રસાદના કહેવા પ્રમાણે, આ યોજનાથી 12 લાખ લોકોને રોજગારી મળશે, જેમાં 3 લાખ પ્રત્યક્ષ અને 9 લાખ અપ્રત્યક્ષ હશે. કેન્દ્રની રૂ. 41 હજાર કરોડની પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ) યોજના હેઠળ આ આવેદન આવ્યા છે. આ કંપનીઓમાં આઈફોન બનાવનારી કંપની ફોક્સકોન, વિસ્ટ્રોન અને પેગાટ્રોન સિવાય સેમસંગ, લાવા અને માઈક્રોમેક્સ પણ સામેલ છે. આ પ્રસ્તાવ મંજૂર થશે તેના આધારે આ કંપનીઓ હજારો કરોડનું રોકાણ કરશે. જૂનના આખરી સપ્તાહમાં કસ્ટમમાં તપાસના નામે આયાત રોકાતા ઉત્પાદન પર અસર પડી.