મહેસાણા શહેરમાં શિયાળો પૂરો થવા આવ્યો ત્યારે ઘરફોડ ચોરીના બનાવો વધવા લાગ્યા છે. તેવામાં શહેરના નાગલપુર વિસ્તારમાં આવેલી તક્ષશિલા સોસાયટીના એક બંદ મકાનમાં 5 લાખથી વધુની ઘરફોડ ચોરીએ સ્થાનિક રહીશોની ઊંઘ હરામ કરી દીધી છે. શહેરના નાગલપુર વિસ્તારમાં તક્ષશિલા સોસાયટીમાં રહેતા ચેતનાબેન પ્રજાપતિના બંધ મકાનમાં ચોરોએ સોના-ચાંદીના દાગીના સહિત કુલ 5,40,000ની મત્તા ચોરી કરી હાથ સાફ કરી ગયા. જે બનાવ સંદર્ભે મકાન માલિક ચેતનાબેન પ્રજાપતિએ મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.
જે બનાવ બાદ પોલીસે અજાણ્યા ચોરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાત્રીનો લાભ લઈ ચોરોએ ચોરીને અંજાણ આપ્યો હોય તેમ બંદ મકાનનું બારણું તૂટેલું મળી આવ્યું હતું જ્યારે અંદરના રૂમમાં પડેલી તિજોરીના લોકરમાંથી દાગીના ગાયબ થઈ ગયા હોવાનું જાણી ચેતનાબેનને તાબડતોબ મહેસાણા પરત આવી પોલીસ મથકે ઘરફોડ ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. જોકે થોડા દિવસો ચેતનાબેન તેમના પિતા અને પુત્ર સાથે ડભોઈમાં નોકરી કરતા તેમના ભાઈને મળવા માટે ગયા હતાં. દરમિયાન, 1લી માર્ચની વહેલી સવારે આશરે સાડા ચારેક વાગ્યે પાડોશીએ ફોન કરીને જાણ કરી હતી કે તેમના ઘરના દરવાજા ખુલ્લા છે. આ સમાચાર મળતા જ પરિવાર તાત્કાલિક મહેસાણા પરત ફર્યો હતો. ઘરે આવીને જોતા મકાનનું બારણું તૂટેલું હતું અને અંદર તિજોરીના લોકરમાં રાખેલા દાગીના પણ ગાયબ થઈ ગયા હતા.
બંધ મકાનમાં થયેલી ચોરીની જો વિગતે વાત કરવામાં આવે તો ચોર 5.40 લાખની કિંમતના દાગીનાની ચોરી કરીને રફ્ફુ ચક્કર થઈ ગયા હતા. જેમાં સોનાની 4 બંગડીઓ કિંમત 1,35,000, સોનાની 2 કડલી જેની કિંમત 1,35,000, સોનાના 3 દોરા કિંમત 1,35,000, સોનાની 3 બુટ્ટી જેની કિંમત 67,500, સોનાની 5 વીંટીઓ કિંમત 67,500 એમ કુલ મળીને ચોરોએ તિજોરીમાંથી અંદાજે ચાર તોલા જેટલા સોનાના દાગીના ચોરીને અંજામ આપ્યો હતો. કુલ 5.40 લાખની કિંમતના દાગીનાની ચોરી થઈ હોવાનું પોલીસ ફરિયાદમાં સામે આવ્યું છે. ચેતનાબેને આ અંગે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. જે અનુસંધાને બી ડિવિઝન પીઆઇ નિલેશ ઘેટિયાએ સ્થળ તપાસ કરી વિવિધ ટીમ બનાવી ચોરોને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

