બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાએ ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી. વાતચીતનો મુખ્ય વિષય ભારત-બ્રાઝિલ વ્યૂહાત્મક ભાગીદારી હતો. આ વાતચીત એવા સમયે થઈ હતી જ્યારે વિશ્વના નેતાઓ ગ્લોબલ ઇકોનોમિક ફોરમ પર ચર્ચા કરવા માટે સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં એકઠા થઈ રહ્યા છે. ભારત સાથે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ સહિત લગભગ 100 લોકોનું એક મોટું પ્રતિનિધિમંડળ છે. પીએમ મોદીએ પોતે બ્રાઝિલના રાષ્ટ્રપતિ સાથેની તેમની ફોન વાતચીતની માહિતી તેમની એક્સ-પોસ્ટ દ્વારા શેર કરી હતી.
પીએમ મોદીએ તેમની X પોસ્ટ પર લખ્યું, “રાષ્ટ્રપતિ લુલા સાથે વાત કરીને આનંદ થયો. અમે ભારત-બ્રાઝિલ વ્યૂહાત્મક ભાગીદારીમાં મજબૂત ગતિની સમીક્ષા કરી, જે આગામી વર્ષમાં નવી ઊંચાઈઓ સર કરવા માટે તૈયાર છે. ગ્લોબલ સાઉથના સહિયારા હિતોને આગળ વધારવામાં અમારો ગાઢ સહયોગ મહત્વપૂર્ણ છે. હું ટૂંક સમયમાં તેમનું ભારતમાં સ્વાગત કરવા આતુર છું.
બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વા ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવવાના છે. આ મુલાકાત મહત્વપૂર્ણ રહેશે. એ નોંધવું જોઇએ કે ભારતની સાથે બ્રાઝિલ પણ એવા દેશોમાં સામેલ છે જેના પર યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સૌથી વધુ ટેરિફ લાદ્યા છે. આ સંદર્ભમાં, લુલા દા સિલ્વાની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મુલાકાત દરમિયાન, ભારત-બ્રાઝિલ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની સાથે સાથે વેપાર, સંરક્ષણ અને સુરક્ષા જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે.

