ત્રણ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી; ડીસાના ભોપાનગર ફાટક નજીક શનિવારે સવારના સુમારે એક મહિલાનું ટ્રેનની અડફેટે કરુણ મોત નીપજ્યું હતું. બનાવના પગલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગતો અનુસાર સરસ્વતી તાલુકાના ભાટસણ ગામના રહેવાસી આશાબેન કિરણભાઈ પરમાર (ઉં.વ. ૨૭) પરણીત હતા અને ત્રણ નાના બાળકોના માતા હતા, તેમનું શનિવારે ભોપાનગર ફાટક નજીક ટ્રેનની અડફેટે આવવાથી દુઃખદ અવસાન થયું છે. આ સમાચારથી સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
આ ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ, તેમજ ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ઘટના એક દુર્ઘટના હતી કે આશાબેને કોઈ કારણોસર આત્મહત્યા કરી હતી ? પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ જ આ અંગેની ચોક્કસ માહિતી બહાર આવી શકશે.
આશાબેનના અચાનક અવસાનથી તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. તેમના ત્રણ નાના બાળકોએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. મૃતકના પરિવારજનો અને ગ્રામજનોએ આ ઘટના અંગે ભારે દુઃખ વ્યક્ત કર્યું છે અને શોકની લાગણી અનુભવી રહ્યા છે. હાલમાં પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ આ દુઃખદ ઘટના અંગે વધુ માહિતી ઉપલબ્ધ થશે.તેમ પોલીસે જણાવ્યું હતું.