BCCI અંગે મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. બીસીસીઆઈએ મિથુન મનહાસને નવા પ્રમુખ તરીકે ચૂંટ્યા છે. મિથુન મનહાસનું નામ છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં હતું. હવે તેમનું નામ ફાઇનલ થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે, મિથુન મનહાસ દિલ્હી માટે ઘરેલુ ક્રિકેટ રમી ચૂક્યા છે. 28 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં વાર્ષિક સામાન્ય સભા (AGM) ના સમાપન બાદ મનહાસને સત્તાવાર રીતે બીસીસીઆઈના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે ટ્વિટર પર મિથુન મનહાસની BCCI પ્રમુખ તરીકે નિમણૂકની જાહેરાત કરી. જિતેન્દ્ર સિંહે લખ્યું, “મિથુન મનહાસને સત્તાવાર રીતે BCCI ના નવા પ્રમુખ જાહેર કરવામાં આવ્યા છે. જમ્મુ અને કાશ્મીરના સૌથી દૂરના ભાગોમાંના એક, ભૂતપૂર્વ ડોડા જિલ્લા માટે કેવો ભાગ્યશાળી રવિવાર હતો, જે આકસ્મિક રીતે મારો ગૃહ જિલ્લો પણ છે. થોડા કલાકોમાં જ, કિશ્તવાડની પુત્રી શીતલ, પ્રથમ વિશ્વ ચેમ્પિયન બનીને ઉભરી આવી, અને તરત જ, મિથુન BCCI પ્રમુખ તરીકે ચૂંટાયા.
૪૫ વર્ષીય મિથુન મનહાસ બીસીસીઆઈમાં ટોચના પદ પર બિરાજમાન થનારા ફક્ત ત્રીજા ક્રિકેટર બન્યા છે. તેઓ રોજર બિન્નીનું સ્થાન લે છે. આ પહેલા રોજર બિન્ની અને સૌરવ ગાંગુલી બીસીસીઆઈના પ્રમુખ રહી ચૂક્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે મિથુન મનહાસ પ્રમુખ બનનારા પહેલા અનકેપ્ડ ખેલાડી છે.
મિથુન મનહાસનો જન્મ ૧૨ ઓક્ટોબર ૧૯૭૯ના રોજ જમ્મુ અને કાશ્મીરમાં થયો હતો અને તેમણે ૧૯૯૭-૯૮માં ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. તેમણે ૧૫૭ ફર્સ્ટ ક્લાસ મેચોમાં ૯૭૧૪ રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમની સરેરાશ ૪૫.૮૨ હતી. તેમણે ૨૭ સદી અને ૪૯ અડધી સદી પણ ફટકારી હતી. તેમણે ૧૩૦ લિસ્ટ-એ મેચોમાં ૪૧૨૬ રન બનાવ્યા હતા જેમાં તેમણે ૫ સદી અને ૨૬ અડધી સદી ફટકારી હતી. તેમણે ૯૧ ટી-૨૦ મેચોમાં ૧૧૭૦ રન બનાવ્યા છે. તેમણે ૭૦ વિકેટ પણ લીધી હતી. આઈપીએલમાં તેમણે દિલ્હી કેપિટલ્સ, પુણે વોરિયર્સ ઈન્ડિયા અને ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને કુલ ૫૫ મેચોમાં ૫૧૪ રન બનાવ્યા હતા.

