કર્ણાટકમાં કન્નડ સમર્થકો દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને કારણે બસ મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં કેટલાક રૂટ પર બસો દોડી રહી છે. કેટલાક પ્રદર્શનકારીઓ બસ કંડક્ટર અને ડ્રાઇવરને વાહન ન ચલાવવાની અપીલ કરી રહ્યા છે.ગયા મહિને કર્ણાટકના બેલાગવીમાં સરકારી બસ કંડક્ટર પર મરાઠી ભાષા ન આવડતી હોવાના આરોપસર થયેલા હુમલાના વિરોધમાં કન્નડ સમર્થક જૂથો દ્વારા શનિવારથી 12 કલાકના રાજ્યવ્યાપી બંધનું એલાન શરૂ થયું હતું. રાજ્યના અનેક ભાગોમાં કન્નડ તરફી જૂથોએ રસ્તા પર વિરોધ પ્રદર્શનો કર્યા. તેમણે દુકાનદારોને આ મુદ્દા પર સહયોગ અને સમર્થન આપવા અપીલ કરી. પરંતુ મોટાભાગની દુકાનો રાબેતા મુજબ ખુલ્લી રહી
બસો રોકીને વિરોધ પ્રદર્શન; મૈસુરમાં, કેટલાક કન્નડ સમર્થક કાર્યકરોએ બસ સ્ટેન્ડ પર બસો રોકી અને વિરોધ પ્રદર્શન કર્યું. બેંગલુરુ અને રાજ્યના અન્ય ભાગો તરફ જતી બસોને રોકવા માટે તેઓએ એક્ઝિટ ગેટ પાસે ધરણા કર્યા. મૈસુરુમાં KSRTC બસને રોકવાનો પ્રયાસ કરતી વખતે કન્નડ તરફી જૂથોના કેટલાક સભ્યોને નિવારક કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. દાવણગેરેમાં પણ વિરોધીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિવિધ જિલ્લાઓમાં પોલીસે ‘સિટી આર્મ્ડ રિઝર્વ’ યુનિટ તેમજ હોમગાર્ડ્સને સાવચેતીના પગલા તરીકે તૈનાત કર્યા છે જેથી જનતાને બંધને કારણે કોઈ અસુવિધા ન થાય. બેંગલુરુ પોલીસ કમિશનર બી દયાનંદે ચેતવણી આપી હતી કે લોકોને બંધમાં જોડાવા માટે દબાણ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, સાવચેતીના પગલા તરીકે, બેંગલુરુ શહેરમાં કર્ણાટક રાજ્ય રિઝર્વ પોલીસની 60 ટુકડીઓ, 1,200 હોમગાર્ડ્સ અને ટ્રાફિક પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યા છે.