![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/06/252e98e7-eaac-41a7-874e-63f6ae04a2fa.jpg)
અયોધ્યામાં રામમંદીર નિર્માણમાં યાત્રાધામ ઢીમાથી માટી અર્પણ
રખેવાળ ન્યુઝ થરાદ, ઢીમા : અયોધ્યામાં બનનાર ભગવાન શ્રીરામના મંદીર માટે બનાસકાંઠાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ઢીમામાંથી માટીનો કળશ પુ.મહામંડલેશ્વર દ્વારા વિશ્વ હિન્દું પરિષદના કાર્યકરોને અર્પણ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે બહોળી સંખ્યામાં અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આગામી સમયમાં અયોધ્યામાં હિંદુધર્મના આરાધ્ય ભગવાન શ્રીરામનું ભવ્યાતિ ભવ્ય અને ઐતિહાસિક મંદિરનું નિર્માણ થવા જઇ રહ્યું છે. જેના નિર્માણમાં વિશ્વ હિન્દુપરિષદ દ્વારા સમગ્ર ભારતમાંથી પવિત્ર તીર્થસ્થાનો અને પવિત્ર નદીઓના નીર વાપરવામાં આવનાર હોવાથી તેને એકત્રિત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે રવિવારે વાવ તાલુકાના પ્રખ્યાત તીર્થક્ષેત્ર એવા ઢીમા ધામના શ્રીધરણીધર ભગવાન મંદિરમાંથી પવિત્ર માટી પુજ્ય સંતશ્રી જાનકીદાસ બાપુના હસ્તે ઢીમા ગ્રામપંચાયતના મહિલા સરપંચ હર્ષાબેન સેવક તથા અગ્રણીઓ હરિશચંદ્ર ચૌહાણ અને લીલાધરભાઈ ઠક્કર સહિતની ઉપસ્થિતીમાં વિશ્વહિન્દુ પરિષદને અર્પણ કરવામાં આવી હતી. આ માટી અને કળશને સન્માન સાથે અયોધ્યા મોકલવામાં આવશે. આ કાર્યક્રમમાં વી.એચ.પી.ના પ્રમુખ ઉન્નતભાઈ શાહ, જિલ્લા મંત્રી હરેશભાઇ ભાટીયા, લાલાભાઈ જોષી, કિશનભાઇ ગોસ્વામી,સાગર વ્યાસ, વિજય ખત્રી, મનીષભાઈ જાની, રાહુલ દવે ,હિતેશ ચૌધરી, કિરણસિંહ, પાંચાભાઈ રાજપુત, ધવલ જાની વગેરે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.