વાવ માર્કેટયાર્ડમા ચેરમેનનો તાજ કોના શીરે ? અનેક ચર્ચાઓ શરૂ
(રખેવાળ ન્યૂઝ)પાલનપુર, તાજેતરમાં વાવ માર્કેટયાર્ડના ૧૬ ડિરેક્ટરોની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. જેમાં વેપારી વિભાગના ૪ ડિરેક્ટરો બિન હરીફ ચૂંટાયા ત્યારબાદ સંઘ વિભાગના ૨ ડિરેક્ટરો બિનહરીફ થયા હતા. પરંતુ ખેડૂત વિભાગના ૧૦ ડિરેક્ટરો સામે ૧૪ ઉમેદવારીપત્રો રજૂ થતા ચૂંટણી પ્રક્રિયા કરવાની ફરજ પડી હતી. ત્યારે ગત ૧૪ ઓગસ્ટના રોજ ખેડૂત વિભાગના ૮૦૧ મતો ધરાવતી ખેડૂત પેનલનું ૭૬૬ મતનું મતદાન થયુ હતું. જેમાં ૭૦ જેટલા મતો રદબાતલ પણ થયા હતા.
જેમાં ભાજપ પેનલનો દબદબો યથાવત રહ્યો હતો. આમ ખેડૂત વિભાગના ૧૦ ડિરેક્ટરો ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટવાળા ચૂંટાયા હતા. આમ ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં વાવ માર્કેટયાર્ડના ચેરમેન અને વા.ચેરમેનનો તાજ અપાશે. ત્યારે એક વાત તો નિશ્ચિંત છે કે સંઘ અથવા ખેડૂત વિભાગના ડિરેકટર જ ચેરમેન બની શકે છે.
ત્યારે રાજકીય અને સહકારી ક્ષેત્ર ના અગ્રણી અને ૨૦ મુદા અમલીકરણ સમિતિના પૂર્વ ચેરમેન માવજીભાઈ પટેલ તેમજ વાવ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અને અગ્રણી નાગજીભાઈ પટેલ ટડાવવાળાનું નામ મોખરે ચાલી રહ્યું છે. ત્યારે આગામી સમયમા પાર્ટી કોને મેન્ડેટ ફાળવશે ? તે તો આવનારો સમય જ બતાવશે.