થરાદ સહિત ૪૦૦ ગામોમાં ૧૨ દિવસ પાણી બંધ રહેશે
બનાસકાંઠા જિલ્લાના ઈતિહાસમાં ન બનલી ઘટના આગામી દિવસોમાં બનવા જઈ રહી છે. મહાકાય બે વાહનો પસાર કરવા માટે ૪૦૦ જેટલા ગામોના હજારો લોકોએ પાણીનો ભોગ આપવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. નર્મદા કેનાલ બંધ કરાતા થરાદ સહિત ૪૦૦ ગામોમાં આગામી ૧૨ દિવસ પાણી બંધ રહેશે. તો બીજી બાજુ થરાદ પાલિકાએ લોકોએ પાણીનો સ્ટોક કરી લેવા માટે સુચનાઆપી દેવામાં આવી છે. એક સાથે ૧૨ દિવસ પાણી બંધ રહેવાની વાતથી થરાદ, વાવ, ભાભર અને દિયોદર તાલુકાના ૪૦૦ જેટલા ગામોના
લોકોમાં ભારે ચર્ચાઓ જાગી છે. થરાદ પંથકમાંથી મહાકાય વેસલ પસાર કરાવવાના કારણે પંથકમાંથી પસાર થતી નર્મદા મુખ્ય નહેરમાં બાર દિવસ સુધી પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. આથી નગરમાં સર્જાનાર પાણીની કટોકટીને પગલે પાલિકા દ્વારા શહેરીજનોને સુચના આપીને નહેરમાં પાણીનો મોટરો ઉંડી ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. થરાદમાંથી ઇતિહાસમાં પ્રથમ વખત નર્મદા કેનાલ બંધ કરીને મહાકાય વેસલ્સ પસાર કરાવવામાં આવનાર છે. જેના માટે વાવ હાઇવે પરનો નર્મદાનો મુખ્ય કેનાલનો પુલસક્ષમ નહી હોવાના કારણે કેનાલમાં સ્ટ્રક્ચર ઉભું કરીને નવો લોખંડનો પુલ બનાવીને પસાર કરાવવામાં આવશે. જેના માટે નર્મદાની મુખ્ય નહેરમાં ૨ ઓગસ્ટથી ૧૪ ઓગસ્ટ સુધી પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો છે.પરિણામે કેનાલમાં પાણી ઓસરી જતાં તેનું તળીયું પણ દેખાઇ રહ્યું છે.આથી નગરઅને ગ્રામ્યવિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાવાની દહેશત ઉઠવા પામી છે.
નગરજનોને બગાડ નહી કરવા પાલિકા દ્વારા સુચના અપાઈ
પાલિકા દ્વારા થરાદ શહેરની જાહેર જનતાને તા.૨/૮/૨૦૨૨ થી તા.૧૦/૮/૨૦૨૨ સુધી નર્મદા કેનાલનું રીપેરીંગ કામ ચાલુ હોઇ કેનાલમાં પાણી બંધ રહેશે, તો શહેરની જનતાએ પાણીનો સ્ટોક કરી લેવો અને પાણીનો બગાડ કરવો નહી તેવી સુચના આપવામાં આવી હતી. જ્યારે પાલિકા દ્વારા પાણીનો સ્ટોક કરવામાં આવ્યો છે. ઉપરાંત બે બોર છે. જરૂર પડ્યે બે ટેંકર પાલિકાનાં અને બીજા ભાડાનાં લાવીને પણ નગરજનોને પાણીપુરવઠો આપવામાં આવશે તેમ પ્રમુખ, ઉપપ્રમુખે જણાવ્યું હતું.
પાંચ ઓગસ્ટથી ફોલ્ડીંગ પુલ બનાવાની કામગીરી હાથ ધરાશે
નર્મદાની કેનાલ પરથી લોખંડનો ફોલ્ડીંગ પુલ બનાવવાની મશીનરી આવી રહી છે. જે આવ્યા બાદ પાંચ તારીખથી પુલ બનાવવાની કામગીરી હાથ ધરાશે. જાે કે કેનાલમાં સ્ટ્રકચર ગોઠવીને બનાવવાનો હોઇ તેની કામગીરી થઇ ગયા બાદ થોડું થોડું પાણી વહેવડાવવાનું
શરુ કરાશે. આથી પાણીની ગંભીર સમસ્યા નહી સર્જાય તેમ સુત્રોએ જણાવ્યું હતું. તો બીજીતરફ પાણી બંધ રહેવાના લીધે લોકોમાં ભારે દોડધામ મચી જવા પામી છે. તંત્ર દ્વારા પણ પૂર્વ તૈયારીઓ હાથ ધરાઈ છે.