બનાસકાંઠાના ગામો બેટમાં ફેરવાયા લોકો હિજરત કરવા બન્યા મજબૂર
થરાદ પંથક સરહદી વિસ્તાર તરીકે ગણવામાં આવે છે. પંથકના ગામોની મોટાભાગની વસ્તી ખેતી અને પશુપાલન સાથે જોડાયેલી છે. તાજેતરમાં આવેલા બિપોરજોય વાવાઝોડાના કારણે સરહદી પંથકના ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘણા ગામના ખેતરોમાં અને ઘરોમાં વરસાદના પાણીનો જળભરાવ થઈ ગયો હતો.આજે બિપોરજોયને ગુજરાતમાંથી પસાર થયાના 3 અઠવાડિયાથી વધુનો સમય થઈ ગયો છે, આ ગામોમાં જળ ભરાવ યથાવત છે. થરાદ પંથકના ખાનપુરા, નાગલા અને ડોડગામમાં હજી પણ વરસાદના પાણી ભરાયેલા છે. પશુપાલકો અને ખેડૂતો જળભરાવને કારણે રોજીની બાબતે ચિંતાતુર બન્યા છે.
ખાનપુરા, નાગલા અને ડોડગામમાં 2015થી જળ ભરાવની સમસ્યા સામે આવી રહી છે. આ ગામમાં ચોમાસા દરમિયાન 4થી 5 ઇંચ જેટલો વરસાદ વરસતા જ ગામ બેટમાં ફેરવાઈ જાય છે. બિપોરજોયના કારણે ભારે વરસાદ પડ્યો હતો. વધુ પડતા વરસાદને લીધે લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ પરિસ્થિતિ થી મજબૂર ગામના લોકોએ આગામી સમયમાં હિજરત કરવાનું નક્કી કર્યું છે.