વડગામના ડાલવાણામાં બળેવીયા મહોત્સવમાં વર્તારાની વિધિ કરાઈ : ગ્રામજનો ઉમટ્યાં
વડગામ તાલુકાના ડાલવાણા ગામે બળેવના દિવસે આવતા વર્ષના ચોમાસાનો વર્તારો જોવાની પરંપરા ચાલી આવે છે. જ્યાં સોમવારે કરાયેલી વિધિમાં આગામી ચોમાસાના એક માસ સારો અને ત્રણ માસ નહિવત્ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. સરસ્વતી
નદીના કિનારે આવેલા વારંદાવીર મહારાજના મંદિરે યોજાયેલી પરંપ રાગત વિધિ માં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
વડગામ તાલુકાના ડાલવાણા ગામે પરંપરાથી ઉજવાતા પ્રસંગ અનુસાર સોમવારે બળેવના દિવસે ગામની બહેનોએ લાકડામાંથી હળ બનાવ્યું હતુ. જેને સમગ્ર ગામના લોકો સાથે મળી કુદરતી નયનરમ્ય સ્થળ સરસ્વતી નદીના કિનારે આવેલા શ્રી વારદાવીર મહારાજના મંદિરે વાગતા ઢોલે લઇ જવાયું હતું. જે હળને મંદિરના યજ્ઞકુંડની વચ્ચોવચ્ચ ઉભું કરવામાં આવ્યું હતુ.જ્યાં વરતારો જોવામાં આવ્યો
હતો જેના કારણે આગામી વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની ધારણા કરવામાં આવી હતી આ પ્રસંગે ખેડૂતો સહિત મોટી સંખ્યામાં ગ્રામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.
માટીના ઘડા ફૂટ્યાં અને વર્તારો જાણવા મળ્યો પ્રજાપતિ સમાજ દ્વારા લાવવામાં આવેલા માટીના ચાર ઘડામાં પાણી ભરી પૂજા- અર્ચના કરવામાં આવી હતી. અને યજ્ઞકુંડમાં ઉભા કરાયેલા હળ ફરતે ચાર ફેરા ફરવામાં આવ્યા હતા. જે બાદ એક પછી એક ઘડો હળ ઉપર ફોડવામાં આવ્યો હતો. જે પૈકી એક ઘડો સંપૂર્ણ ફૂટ્યો હતો. જ્યારે ત્રણ ઘડાના કાંઠલા અકબંધ રહ્યા હતા. અને એક ઘડો સંપૂર્ણ ફુટી ગયા હોવાથી આગામી ચોમાસાના એક માસ ભરપૂર વરસાદ પડશે. જ્યારે ત્રણ ઘડા સંપૂર્ણ ફુટયા ન હોઇ જેથી ત્રણ માસ સામાન્ય વરસાદ પડશે.તેવી ધારણા કરવામાં આવી હતી.