જાણદી ખેડુત હત્યા પ્રકરણમાં ત્રણની અટકાયત કરાઈ
રખેવાળ ન્યુઝ થરાદ : મામી સાથેના આડાસંબંધમાં આડે આવતા સગાભાઇની હત્યા કરવાના જઘન્ય અને સનસનીખેજ અપરાધમાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓની થરાદ પોલીસે અટકાયત કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.
થરાદ તાલુકાના જાણદીના ગત ૨૭ જુનના રોજ ગુમ થયેલા ખેડુત પ્રકરણમાં મામી સાથેના આડાસંબંધમાં આડે આવતા સગાભાઇને જ કુહાડીના ઝાટકે દીધાની સનસનીખેજ વારદાત તાલુકાના હાથાવાડા ગામમાં બનવા પામી હતી. જેમાં નાનાભાઇ સવદાસભાઇ કાનજીભાઇ પટેલે પોતાની મામી ધુડીબેન રખાભાઇ વજેશીભાઇ પટેલ રહે. હાથાવાડા તા.થરાદ સાથે મળીને મામીના ઘરના ફળીયામાં સુતેલા સગા મોટાભાઇ શિવરામભાઇ કાનજીભાઇના માથામાં કુહાડીના ચારપાંચ ઘા ઝિંકીને હત્યાનો કરૂણ અંજામ આપ્યો હતો. હત્યા બાદ મૃતદેહને મામી અને મામીના દિકરા દિલીપભાઇએ કોથળામાં ભરી ખેતરમાં પડેલ જીરાની ડાંખળીમાં નાખી સળગાવી દીધો હતો. તેમજ તેનાં વધેલ હાડકાં ગત તા.૨૯/૦૬/૨૦૨૦ ના રાત્રીના આશરે દશેક વાગે હાથાવાડા મામીના ખેતરમાંથી ગોદડાના ખોળીયામાં ભરી દિલીપ સાથે તેના મોટર સાયકલ ઉપર લઇ જઇ વામી ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલ પાસે નાખી દીધી હતી. પોલીસે આ ચકચારી હત્યા પ્રકરણના ત્રણેય આરોપીઓની બુધવારે સાંજે અટકાયત કરી હતી. તેમજ ચાર દિવસના રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ ધરી હતી. આ અંગે પી.આઇ. જે.બી.ચૌધરીએ જણાવ્યું હતું કે થરાદના હાથાવાડા ગામમાં મામીના રહેણાંક મકાનના બાજુના ખેતરમાં મારી નાખીને સળગાવવામાં આવ્યો હતો. તેની બાજુના ખેતરમાંથી પણ મૃતકની અસ્થિઓ મળી આવી હતી તે પણ એકત્રિત કરવામાં આવી હતી. પોલીસે મારક હથિયાર પણ કબજે લીધું હતું. તથા ત્રણની અટકાયત કરી કોવીડ ટેસ્ટ માટે ડીસા મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.