લાખણીની ગેળા ગૌશાળામાથી એક હજાર જેટલી ગાયોને ગ્રામ પંચાયતના ભરોસે છોડી દેવાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ગેળા : લાખણી તાલુકાના ગેળા ખાતે આવેલી શ્રી બજરંગ ગૌશાળામાં ગાયોના નિભાવ માટે આર્થિક પરિસ્થિતિ ખરાબ બની જતા એક હજાર જેટલી ગાયોને ગ્રામ પંચાયત ભરોસે છોડી દેવામાં આવી છે. કોરોના મહામારી વચ્ચે ગૌશાળા અને પાંજરાપોળની હાલત દયનીય બની ગઈ છે. સેવાભાવી સંસ્થાઓ અને ધર્મપ્રેમી જનતા દ્વારા ગૌશાળાઓને આપવામાં આવતા દાનમાં ધરખમ ઘટાડો થઈ ગયો છે. એવી પરિસ્થિતિમાં ગૌશાળાઓને સરકાર તરફથી મળતી સહાય બંધ કરી દેવામાં આવતા ગાયોના નિભાવ માટે ફાંફા પડી રહ્યા છે. જેને લઇ સંચાલકો દ્વારા સરકાર સામે સહાય ચાલુ કરવા ઘણી વખત રજૂઆતો કરી હોવા છતાં સરકારનું પેટમાંથી પાણી હલ્યું નથી. તો બીજી બાજુ ગૌશાળાની ગાયોને ઘાસચારા માટે તંગી સર્જાઈ છે. આવી પરિસ્થિતિના કારણે લાખણી તાલુકાના ગેળા ખાતે આવેલી શ્રી બજરંગ ગૌશાળાની ગાયોને ગ્રામ પંચાયતના મેદાનમાં છોડી દેવામાં આવી છે. આ બાબતે ગામના સરપંચને પૂછતા જણાવ્યું હતું કે આ બાબતે તાલુકા અને જિલ્લા મથકે રજૂઆત કરીશું અને ત્યાર બાદ આ સમસ્યાનો ઉકેલ આવે એવા પ્રયત્નો કરશું. ઉલ્લેખનીય છેકે આવી પરિસ્થિતિમાં સરકાર અને સંચાલકોની તાણખેંચ વચ્ચે ગૌમાતા રામ ભરોસે બની ગઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.