ભીલડી ના સોયલા ફાટક પર દિવાલવાળો ઓવરબ્રિજ બનાવવાના સળવળાટ સામે આમ પ્રજા અને વેપારીઓમાં પ્રચંડ આક્રોશ
વેપારી મથકનો વિકાસ રૂંધાવા સાથે ચોમાસામાં અનેક સોસાયટીમાં પાણીનો ભરાવો થશે : સ્થાનિકો
આ અગાઉ નેશનલ હાઇવે પર ભીલડી માં દિવાલવાળો ઓવરબ્રિજ બનાવતા શહેર બે ભાગમાં વહેંચાઈ ગયું છે
રેલવે તંત્ર દ્વારા તમામ રેલ્વે ક્રોસિંગ બંધ કરી અંડરપાસ કે ઓવરબ્રિજ બનાવવા માં આવી રહ્યા છે જેમાં ભીલડી થી સોયલા રોડ પર આવેલ એલ સી નંબર 43 પર ROB ના બાંઘકામ માટે લેવલ ક્રોસીંગ બંધ કરવા અંગે એન.ઓ.સી. મળવા માંગણી કરેલ છે ત્યારે ભીલડી નગરજનોને રેલવે ક્રોસિંગ પર અંડરપાસ બને કે પીલ્લર વાળો ઓવરબ્રિજ બને તેવી એક જ માંગ કરી રહ્યા છે અને દિવાલવાળો ઓવર બ્રિજ બનાવવા સામે પ્રજા અને વેપારીઓમાં પ્રચંડ આક્રોશ જોવા મળી રહ્યો છે
અગાઉ ભીલડી નેશનલ હાઇવે પર દીવાલ વાળો ઓવરબ્રિજ બનતા વેપારી મથક ભીલડીના બે ભાગ પડી ગયા હતા.જેથી નાના-મોટા ધંધા- રોજગાર ઠપ્પ થઈ જતા અનેક વેપારીઓને પેટનો ખાડો પુરવા હિજરત કરવાનો વારો આવ્યો હતો અને આજે પણ અનેક વેપારીઓ ધંધો ન થતા કાળઝાળ મોંઘવારીમાં માંડ માંડ પરિવારનું ભરણપોષણ કરે છે. ત્યારે જો સોયલા રેલવે ફાટક ઉપર પણ દીવાલ વાળો બ્રિજ બનાવાય તો હાલની ભયંકર મંદીમાં વેપારીઓને પાયમાલ થઈ મરવાનો વારો આવે તેમ છે.જેને લઈ ન ભરપાઈ થાય તેવું નુકશાન થઈ શકે છે. જેથી આમ પ્રજા સાથે વેપારીઓ પણ પિલ્લરવાળો બ્રિજ કે પછી અંડરપાસ બનાવવા અત્યારથી જ ઉચ્ચસ્તરે રજૂઆતો કરવા લાગ્યા છે ત્યારે જો લોક લાગણી અને તેમની વ્યાજબી રજૂઆત ધ્યાને નહિ લેવાય તો જન આંદોલનના ભણકારા સાંભળવા મળી રહ્યા છે.