અંધારીયામા વ્યાજખોરોના ત્રાસથી યુવાને વખ ઘોળ્યું : સારવાર દરમિયાન યુવકનું મોત
વડગામ તાલુકાના અંધારીયા ગામમાં રહેતો અને પશુપાલનનો ધંધો કરતો ૨૮ વર્ષીય યુવકને વ્યાજખોરોના ત્રાસથી વખઘોળીને આત્મહત્યા કરી લેતાં વડગામ પંથકમાં ચકચાર મચી ગઇ છે.
સમગ્ર ઘટનાની પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ અંધારીયા ગામનો જીતેન્દ્ર કુમાર પ્રભાતભાઇ દેસાઇ ઉ.વ.૨૮ ના ઓએ દસ ટકાના વ્યાજે ઇશ્વરભાઇ ભેમાભાઇ પ્રજાપતિ રહે.મુમનવાસવાળા પાસેથી બે લાખ રૂપિયા તથા બળવંતસિંહ અમીરજી રાજપૂત રહે મોટાસડા તા. દાંતાવાળાઓ પાસેથી રૂપિયા ત્રણ લાખ તેમજ નરેન્દ્રસિંહ વિરૂસિહ બારડ રહે.મોટાસડા તા.દાંતાવાળાઓ પાસેથી રૂપિયા એક લાખ તેમજ બે લાખ સિત્તેર હજારની ૯ ગાયો ઉધારમાં લીધી હતી. જેમાથી ૭ ગાયોના મોત થયા હતાં. આ ત્રણે તહોમતદારોને કુલ રૂપિયા એક લાખ સાઇઠ હજાર ચુકવી દીધેલ હોવાનું ફરીયાદમાં જણાવાયું છે.
જયારે આ વ્યાજે લેનાર યુવક આર્થિક સંકડામણમાં આવતાં વ્યાજ ન ભરી શકતાં ત્રણે તહોમતદારો અવાર નવાર જીતેન્દ્રકુમાર પાસે પઠાણી ઉઘરાણી કરીને ઉપાડી જઈ મારી નાખવાની જાસા ધમકીઓ આપતાં હોવાનાં ચોંકાવનારા આક્ષેપ કરાયા છે. યુવક દ્વારા વ્યાજ ન ભરી શકતાં આ ત્રણે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઈને ઘરમાં પડેલી સેલ્ફોસ ગોળીઓ તેમજ ઉંધઇ મારવાની દવા પી લેતા યુવકની તબીયત લથડી હતી. જેને પ્રથમ દાંતા સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યો હતો. જયાં વધુ તબીયત નાજુક જણાતાં અમદાવાદ વધુ સારવાર અર્થે લઇ જવાયો હતો. જયાં યુવકનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. આ અંગેની ફરીયાદ વડગામ પોલીસ મથકે નોંધાવા પામી છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે