બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન ડેમની જળસપાટી 594 ફૂટને પાર પહોંચી
બનાસકાંઠા જિલ્લામાં અને ઉપરવાસમાં વરસી રહેલા અવિરત વરસાદના કારણે જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઈ રહી છે જેના કારણે ડેમની જળસપાટી 594 ફૂટને પાર કરી ગઈ છે. ડેમની ભયજનક સપાટી 604 ફૂટની હોય આગામી સમયમાં આ સપાટી સુધી જળસ્તર પહોંચવાની શક્યતાના પગલે તંત્ર દ્વારા બનાસ નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં પડી રહેલા અવિરત વરસાદ તેમજ ઉપરવાસ અને રાજસ્થાનમાં પડી રહેલા ભારે વરસાદ ને લઈને બનાસકાંઠાની બનાસનદી બંને કાંઠે વહેતી થઈ છે અને બનાસનદીમાં આવતું ધસમતું પુષ્કળ પાણી બનાસકાંઠાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં આવવાથી ડેમમાં પાણીનું લેવલ 594 ફૂટને પાર કરી ગયું છે. જોકે દાંતીવાડા ડેમની ભયજનક સપાટી 604 ફૂટ હોવાથી હવે ડેમ છલોછલ ભરાવવા ફક્ત 10 ફૂટ જેટલું જ પાણીની આવક બાકી હોવાથી ડેમ સંપૂર્ણપણે ભરાઈ જાય તેવી સ્થતિનું નિર્માણ થતાં તેમજ દર કલાકે ડેમમાં 10 હજાર ક્યુસેક પાણીની આવક ચાલુ રહેતા જો ડેમના દરવાજા ખોલવા પડે અને પાણી છોડવાની નોબત આવે તો કોઈ હોનારત ન થાય તે માટે તંત્ર દ્વારા ડેમની નજીક આવેલા નીચાણવાળા વિસ્તારોના ગામો અને બનાસનદીના કાંઠે આવેલા ગામોને એલર્ટ કરાયા છે. ઉનાળામાં ખાલીખમ દેખાતો દાંતીવાડા ડેમ ભરાઈ જતા મોટી સંખ્યામાં લોકો ડેમનો અદભુત નજારો જોવા ઉમટી રહ્યા છે તો બીજીબાજી ડેમ ભરાતા ઉનાળામાં સિંચાઈના પાણીની તંગી ભોગવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.