![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/18.jpg)
ભાભરના લુન્દ્રા પાસેથી આધેડ કેનાલમાં ઝંપલાવે તે પહેલા જ પોલીસ પહોંચી
બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં અવારનવાર આત્મહત્યાના બનાવો બનતા રહે છે. ત્યારે ભાભરના લુન્દ્રા પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં એક વ્યકિત આત્મહત્યા કરવા પહોંચતા પોલીસે તાત્કાલીક ઘટનાસ્થળ પર પહોંચી તેને બચાવી લીધો હતો.
ભાભરના લુન્દ્રા પાસે નર્મદાની મુખ્ય કેનાલમાં આત્મહત્યા કરતા ઈસમને ભાભર પોલીસે બચાવી લીધો છે. જેમાં ભાભર પોલીસ સ્ટાફ ભાભર વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન કટ્રોલરૂમ પાલનપુર તરફથી લુન્દ્રા કેનાલ પર એક ઈસમ આત્મહત્યા કરતો હોવાનો મેસેજ આપ્યો હતો.જેથી પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી પહોંચી અને એક ઈસમ કેનાલની પાળી ઉપર પર બેઠેલ હતો. પોલીસે તેમને સમજાવી ગાડીમાં બેસાડી ભાભર પોલીસ મથક લાવેલ હતા.પોલીસે તેની પૂછપરછ કરતા થરાદના રહેવાસી હોવાનું જણાવ્યું હતું. પોલીસને વધુમાં જણાવ્યું હતું કે, સામાજિક કારણોસર માનસિક રીતે થાકીને આત્મહત્યા કરવાનું વિચાર્યું હતું. ભાભર પોલીસે ઇસમના પરિવારજનોનો સંપર્ક કરી તેમની પત્નીને તેમજ પરિવારના સભ્યોને પોલીસ મથકે બોલાવી અને સમજાવેલ ભવિષ્યમાં આવું કંઈ પણ નહિ કરે તેવુ કહેલ અને તેઓનું તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.