મામી સાથેના આડા સંબંધમાં આડે આવતા ભાઇને જ કુહાડીના ઝાટકે પતાવી દીધો
રખેવાળ ન્યુઝ થરાદ : થરાદ તાલુકાના જાણદી ગામના ત્રણ અપરિણીત ભાઇઓ ધરાવતા પરિવારનો એક ભાઇ દસેક દિવસ પહેલાં ગુમ થવા પામ્યો હતો. જેની હત્યા મામી સાથેના આડા સંબંધમાં આડે આવતા ખુદ સગાભાઇએ કુહાડી વડે મામી સાથે મળીને કરી દીધી હતી. એટલું જ નહી મૃતદેહને સળગાવી દીધા બાદ તેના હાડકાં પણ થરાદની નર્મદા નહેરના કિનારે નાંખી દઇ પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. થરાદ પોલીસે ત્રણની સામે હત્યાનો ગુનો દાખલ કરી એફએસએલ ની મદદ લઇને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
સમાજ માટે લાલબત્તી સમાન એવા થરાદ પંથકમાં ભાઇ ભાઇ અને મામી ભાણેજના પવિત્ર સંબંધોને કલંકની કાળી ટીલી લગાડતા શરમજનક કિસ્સાની વિગતો મુજબ અશોકભાઇ કાનજીભાઇ પટેલ ઉ.વ.૨૧ રહે.જાણદી તા.થરાદ નામના ખેડુતે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે સૌથી મોટો શીવરામભાઇ કાનજીભાઇ પટેલ ગત ૧૯ મી જુને બપોરના બાર વાગ્યાના સુમારે થરાદ જઇને પાછા આવવાનું કહીને ઘેરથી નિકળ્યા બાદ મોડા સુધી ઘેર પરત નહી ફરતાં અને તેના બંન્ને મોબાઇલ ફોન પણ બંધ આવતા હોઇ તેની વ્યાપક શોધખોળ બાદ સવદાસભાઇ કાનજીભાઇ પટેલ રહે. જાણદી દ્વારા થરાદ પોલીસ મથકમાં લેખિત જાણ કરવામાં આવી હતી. પોલીસે આ પ્રકરણમાં સવદાસભાઇની જ ઉલટ પુછપરછ કરતાં તે ભાંગી પડતાં તેણે હૈયું હચમચાવતી કબુલાત કરી હતી. જેમાં તેને પોતાની મામી ધુડીબેન રખાભાઇ વજેશીભાઇ પટેલ રહે. હાથાવાડા તા.થરાદ સાથે આડા સંબંધ હોઇ અને તેમાં શીવરામ અડચણરૂપ બનતો હોઇ શીવરામનું ખુન કરી તેનો કાંટો કાઢવાનું મામી ભાણેજે નક્કી કર્યું હતું. જ્યારે ગત તા.૧૯/૦૬/૨૦૨૦ ના રોજ સાંજે શીવરામ મામીના ઘરે આવતાં મામીએ ફોનથી જાણ કરી તેને આજે મારી નાખીએ તેવી વાત કરી હતી. આથી સવદાસભાઇ ઘરેથી ચાલતાં ચોરી છુપીથી હાથાવાડા મામીના ઘેર જઇ તેમના ઘરમાં પડેલ કુહાડી લઇ ઘરની બહાર સુતેલા શીવરામના કપાળના ભાગે ચાર-પાંચ ઘા ફટકારી મારી નાખ્યો હતો. ત્યાર બાદ તેણે તથા મામી અને તેમના દિકરા દિલીપભાઇએ કોથળામાં ભરી ખેતરમાં પડેલ જીરાની ડાંખળીમાં નાખી સળગાવી દીધો હતો. તેમજ તેનાં વધેલ હાડકાં ગત તા.૨૯/૦૬/૨૦૨૦ ના રાત્રીના આશરે દશેક વાગે હાથાવાડા મામીના ખેતરમાંથી ગોદડાના ખોળીયામાં ભરી દિલીપ સાથે તેના મોટર સાયકલ ઉપર લઇ જઇ વામી ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલ પાસે નાખી દીધી હતી. આ બનાવને લઇને ભારે અરેરાટી સાથે ફીટકાર અને ચકચારની લાગણી પ્રસરવા પામી હતી.પોલીસે એફએસએલની મદદ લઇ ત્રણની સામે હત્યા અને મદદગારીનો ગુનો દાખલ કરી તેમની અટકાયત કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં હતાં.